1998ના NDPS કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અટકાયત
1998ના NDPS કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવની અટકાયત
NDPC (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ 1985 અંતર્ગત 1998માં થયેલ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કેસમાં સંજીવ ભટ્ટની અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાત CIDએ સંજીવ ભટ્ટની અટકાયત કરી છે, સંજીવ ભટ્ટ ઉપરાંત અન્ય 6 લોકોની પણ અટકાયત કરી છે જેમાં બે પૂર્વ પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગાંધીનગરમાં આ તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે. આ ઘટના બની ત્યારે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 1996માં સાદી વરદીમાં ગયેલ પાલનપુર પોલીસે રાજસ્થાનથી વકીલ સુમેરસિંહનું અપહરણ કર્યું હતું. સ્થાનિક વકીલોએ વિરોધ કર્યા બાદ રાજસ્થાન પોલીસે પાલનપુર પોલીસને અધવચ્ચે જ અટકાવી હતી. ત્યારે પાલનપુર પોલીસે તેમની ધરપકડ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. કથિત રીતે હોટલમાંથી એક કિલોથી પણ વધુનું અફીણ પકડી પાડવામાં આવ્યું હતું જેનું કનેક્શન સુમેરસિંહ સાથે જોડી દેવામાં આવ્યું હતું, જો કે ઓળખ પરેડ દરમિયાન હોટલના માલિકે સુમેરસિંહને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારે ખોટી રીતે ડ્રગ્સના કેસમાં વકીલને ફસાવવાનો પ્રયત્ન કરવાના કેસમાં 1998માં સંજીવ ભટ્ટ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 120બી, 195, 196, 342, 347, 357, 365, 388, 458, 482 તથા સેક્શન 58(1) અને 58(2) અંતર્ગત FIR નોંધવામાં આવી હતી.
જણાવી દઈએ કે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં જે-તે સમયના ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીની સંડોવણી હોવાનું સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ જમા કરાવ્યું હતું. જેને પગલે 2015માં જ સંજીવ ભટ્ટને ગુજરાત પોલીસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હાલ સંજીવ ભટ્ટ સહિત 6 આરોપીઓની સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- કૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ 'અહીં નફરત નહિ શાંતિ છે'