ગોંડલ:BAPSના મંદિરની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ કોવિંદ
ગોંડલ અનોખા ભક્તિ આંદોલનોથી દિવ્યતામાં ગરકાવ થઈ ગયું હતું. રવિવારે માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ મહોત્સવનો ભાગ બન્યા હતા.
BAPS સ્વામિનારાયણ મંદિર(અક્ષર મંદિર), ગોંડલ અનોખા ભક્તિ આંદોલનોથી દિવ્યતામાં ગરકાવ થઈ ગયું હતું. મહાપ્રતાપી અક્ષરદેરી અને અક્ષર મંદિરના પ્રથમ મહંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે 40 વર્ષ સુધી મહંત પદે બિરાજીને આ સ્થાનને ભક્તિ, સેવા અને દિવ્યતાનું ત્રિવેણી સંગમ સમું બનાવ્યું હતું. સોમવારે માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ મહોત્સવમાં ભાગ લેશે. સને 1971માં જે પવિત્ર સ્થળે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અંતિમ સંસ્કાર વિધિ થયો હતો, તે સ્થાને તેઓની સ્મૃતિમાં ભારતીય શિલ્પ-સ્થાપત્ય શૈલીના અનુપમ ઉદાહરણ સમું ભવ્ય અને સુંદર કલાત્મક મંદિરનું સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોએ અક્ષર મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન યોગીજી મહારાજની સુંદર મૂર્તિને પાલખીમાં ધારણ કરીને અક્ષર મંદિરની પ્રદક્ષિણા કરી હતી. સેંકડો સંતો અને હજારો હરિભક્તોના સમૂહને સમાવતી આ નગરયાત્રામાં કૂચ કરી રહેલા બાળકો અને બેન્ડવાદન કરી રહેલા યુવકો મોખરે રહ્યા હતા.
અક્ષર મંદિરના સમગ્ર પરિસરની શોભા જ કંઈક અનેરી હતી. ઠેર-ઠેર વિશાળ LED સ્ક્રીન પર સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા વિધિનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં 750થી વધુ સંતો અને સેંકડો યજમાનો-દાતાઓ તથા હજારો હરિભક્ત ભાઈ-બહેનો આ વિધિમાં સામેલ થયા હતા. વેદપાઠી વિદ્વાનો દ્વારા દિવ્ય મંત્રોચ્ચાર અને ભગવાનના નામ-સ્મરણ સાથે વૈદિક પરંપરા મુજબ મૂર્તિપ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી સત્સંગ સભામાં વરિષ્ઠ સંતોના વક્તવ્ય બાદ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર ભક્તોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના આશિર્વચન દરમિયાન ગુરૂહરી પ.પૂ. મહંતસ્વામી મહારાજે સૌને તન, મન અને ધનથી સુખી થવાના રૂડા આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે,' યોગીજી મહારાજના આ સ્મૃતિ મંદિરના દર્શનથી સૌને શાંતિ થશે. યોગીજી મહારાજ હંમેશા કહેતા કે, 'ભગવાન સૌનું ભલુ કરો.' એ એમની જીવનભાવના હતી. યોગીજી મહારાજના એ સંકલ્પે સૌમાં ભક્તિ ભાવના વધે, નીતિ-નિયમનું પાલન થાય અને સૌનો ઉત્કર્ષ થાય એવી પ્રાર્થના. આમ, જેસલમેરના પથ્થરોમાં કંડારાયેલા, નાજુક નકશીકામથી ઓપતા ભવ્ય અને કલાત્મક યોગીસ્મૃતિ મંદિરનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું હતું.