ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ યોજનાને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી!
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં ગાંધી આશ્રમના બ્યુટીફિકેશન અને રિડેવલપમેન્ટની યોજનાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે.
અમદાવાદ : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં ગાંધી આશ્રમના બ્યુટીફિકેશન અને રિડેવલપમેન્ટની યોજનાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં ગાંધીવાદી તુષાર ગાંધીએ જણાવ્યું કે સાબરમતી આશ્રમ અને મ્યુઝિયમના પુનઃવિકાસ અને બ્યુટીફિકેશનનું કામ ગાંધીવાદી સંસ્થાઓની દેખરેખ હેઠળ થવું જોઈએ.
તુષાર ગાંધીએ જણાવ્યું કે, સાબરમતી આશ્રમ અને મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રાયોગ સમિતિ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, સાબરમતી આશ્રમ ગૌશાળા, રાષ્ટ્રીય ગાંધી સ્મારક ફંડની દેખરેખ હેઠળ ગાંધી આશ્રમનું નવીનીકરણ અને સૌદર્યકરણ થવું જોઈએ. ગાંધી સ્મારક જે ગાંધીની હત્યા પછી તેમને સંબંધિત વસ્તુઓ એકત્રિત કરવા અને સાચવવા માટે બનાવવામાં આવ્યું હતું.
5 માર્ચે સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રચાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને આશ્રમના નવીનીકરણ માટે વિવિધ વિભાગોની કમિટી તૈયાર કરવા જણાવાયુ હતું, તુષાર ગાંધીએ આ દરખાસ્તને રદ કરવાની માગણી કરી છે. તુષાર ગાંધીએ રાજ્ય સરકાર દ્વારા આશ્રમના નવીનીકરણની કામગીરી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવા પર સ્ટે મૂકવાની પણ માગણી કરી છે.
તુષાર ગાંધીએ કહ્યું છે કે સરકારી એજન્સીઓને ગાંધી આશ્રમના પુનઃવિકાસના કામથી દૂર રાખવા જોઈએ. તેમને ચિંતા પણ વ્યક્ત કરી છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના આ સ્મારકને માત્ર પ્રવાસીઓના આકર્ષણ તરીકે રાખી શકાય નહીં, તે વ્યાપારી પ્રવાસન કેન્દ્ર નથી. જો ગાંધી આશ્રમ અને તેની આસપાસના પરિસરને પ્રવાસનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવે તો ગાંધીવાદી મૂલ્યો નષ્ટ થઈ શકે છે.