ગાંધીજીના પૌત્ર કનુભાઇ પત્ની સાથે સુરતના વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર
સુરત, 3 સપ્ટેમ્બર : દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીના 84 વર્ષીય પૌત્ર કનુભાઇ ગાંધી પત્ની શિવલક્ષ્મી સાથે સુરતના એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કારણ કે તેમની પાસે રહેવા માટે કોઇ મકાન નથી. બીજી તરફ ગાંધીજીના અન્ય પૌત્રો અત્યંત સુખદ રીતે જીવન પસાર કરી રહ્યા છે. જ્યારે કનુભાઇ અને તેમના પત્નીની સ્થિતિ અત્યંત દયનીય છે.
ગાંધીજીના ચાર સંતાનોમાંથી ત્રીજા નંબરના પુત્ર રામદાસભાઇ ગાંધીના ત્રણ બાળકો છે. તેમાંથી કનુભાઇ ત્રીજા નંબરના પુત્ર છે. હાલ તેમની ઉંમર 84 વર્ષની છે. ગાંધીજીની હત્યા થઇ ત્યારે તેઓ 17 વર્ષના હતા. સ્વતંત્રતા સંગ્રામ માટે ગાંધીજી જ્યાં પણ જતા હતા, કનુભાઇ તેમની સાથે રહેતા હતા.
કનુભાઇ લગભગ 40 વર્ષની ઉંમરે પત્ની સાથે અમેરિકા ગયા હતા. તેઓ 40 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. તેઓ થોડા મહિના પહેલા જ ભારત આવ્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ તેઓ બેંગલોર, દિલ્હી અને નવસારીમાં રહ્યા છે.
નવસારીમાં આવેલા મરોલ ખાતેના કસ્તુરબા સેવાશ્રમમાં તેમણે આશ્રય લીધો હતો. આ આશ્રમમાં કનુભાઇ સાથે તેમના સેવકે 1.64 લાખ રૂપિયાની છેતરપીંડિ કરી હતી. આ ઘટના બાદ કનુભાઇ સુરતના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. તેઓ છેલ્લા એક મહિનાથી સુરતમાં આવેલા શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં પોતાની પત્ની શિવલક્ષ્મી સાથે રહી રહ્યા છે.
આ અંગે શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમના મેનેજર દિલીપભાઇ સોલંકીનું કહેવું છેકે મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધી તેમના પત્ની સાથે અમારા આશ્રમમાં રહી રહ્યા છે. તેઓ ઇચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે.