ગાંધીનગરના બિશપનો પત્ર: રાષ્ટ્રવાદી તાકાતથી બચવા કરો પ્રાર્થના
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરના એક ચર્ચના પ્રધાન પાદરીએ લોકોને મતદાન પહેલાં એક ખુલ્લો પત્ર લખ્યો છે. પાદરીએ આ પત્રમાં પોતાના સમુદાયના લોકોને અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરના એક ચર્ચના પ્રધાન પાદરીએ લોકોને મતદાન પહેલાં એક ખુલ્લો પત્ર લખ્યો છે. પાદરીએ આ પત્રમાં પોતાના સમુદાયના લોકોને અપીલ કરી છે કે, તેઓ માનવીય મૂલ્યો ધરાવતા નેતાઓની જીતની પ્રાર્થના કરે. ગાંધીનગર આર્ચબિશપ થૉમસ મેકવાને પત્રમાં પ્રાર્થના કરતા લખ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આ ચૂંટણીના પરિણામો દેશ માટે મહત્વપૂર્ણ છે. આ આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે. આપણા દેશની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર જોખમમાં છે. દેશમાં માનવ-અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. દેશમાં બંધારણીય મૂલ્યોનું હનન થઇ રહ્યું છે. ઓબીસી, પછાત, લઘુમતિ ધરાવતા લોકો અને ગરીબોમાં અસુરક્ષાનો ભાવ વધી રહ્યો છે. દેશભરમાં રાષ્ટ્રવાદી તાકાતો ચરમસીમાએ છે. આમારી પ્રાર્થના દેશને રાષ્ટ્રવાદી તાકાતોથી પણ બચાવશે.
તેમણે પોતાના પત્રમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે લખ્યું છે કે, 1571માં લેપેંટોની લડાઇમાં યુરોપને બચાવવામાં, તમામ દેશોની કમ્યુનિસ્ટ સરકારો અને તાનાશાહોની સત્તા પલટાવવામાં આપણી આસ્થા અને મધર મેરીએ ખૂબ મદદ કરી હતી. થૉમસ મેકવાને આ પત્રમાં લોકોને આગ્રહ કર્યો છે કે, ગુજરાત રાજ્યના બિશપ હોવાથી હું તમને અનુરોધ કરું છું કે, તમે એવી પ્રાર્થનાઓ કરો, જેનાથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એ લોકો જીતે જે આપણા બંધારણ પ્રત્યે વફાદાર રહે અને કોઇ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું સન્માન કરે.