ગુજરાતની પ્રથમ ફૂડ ટેસ્ટ લેબોરેટરી નું ઉદ્દઘાટન કરાયું.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વર્દ્ હસ્તે ફૂડ રીસર્ચ લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવેલ છે. જાણો આ અંગે વિગતવાર અહીં.
ગુરુવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વર્દ્ હસ્તે ફૂડ રીસર્ચ લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવેલ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ન અને નાગરિકા પુરવઠા નિગમના મંત્રી જયેશભાઇ રાદડિયા,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર રહેલ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ૭૨.૦૦ લાખથી વધુ રેશનકાર્ડ હોલ્ડરોના રૂ. ૩.૮૪ કરોડથી વધુ લાભાર્થીઓને ૧૭૦૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજ, તેલ, ચોખા, દાળ, ખાંડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. તદ્ઉપરાંત ૩૩૦૦૦ થી વધુ સ્કૂલોમાં ૩૮.૪૨ લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન પૂરું પાડવામાં આવે છે. આમ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, કઠોળ, અનાજ, ખાંડ મળી રહે તે આશયથી દેશમાં સૌપ્રથમવાર નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર ખાતે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના સહયોગથી "ફૂડ રીસર્ચ લેબોરેટરી"ની શરૂઆત કરવામાં આવેલ છે. આ લેબોરેટરીમાં જુદીજુદી આવશ્યક ચીજવસ્તુઓની ચકાસણી કરવામાં આવશે અને આ પરીક્ષણમાં ખાદ્ય પદાર્થો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તેમજ GSCSC અને FSSAIના ધારા-ધોરણ મુજબ સેમ્પલ ગુણવત્તા ધરાવે છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવશે જો આવા ખાદ્ય પદાર્થો આ કસોટીમાંથી પાસ થાય તો જ આવી ખાદ્યવસ્તુઓની સરકાર ખરીદી અને વિતરણ કરશે.
આમ, જાહેર જનતાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આ "ફૂડ રીસર્ચ લેબોરેટરી"ની શરૂઆત કરવામાં આવી છે. આ "ફૂડ રીસર્ચ લેબોરેટરી" ખાતે ગુજરાત સીવીલ સપ્લાય નિગમ તરફથી મગ મોગર દાળના-૧૬,ચણા દાળના-૧, આખા ચણા દાળના-૧,ખાંડના-૨૮,ખાદ્ય તેલના-૨૪ મીઠાના-૧ સેમ્પલો પરીક્ષણ અર્થે મળેલ છે.આ સેમ્પલોની આતંરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ઝડપથી ચોકસાઇ-પૂર્વક, પારદર્શક પરીક્ષણ કરી અહેવાલ આપવામાં આવશે. આ ફૂડ રીસર્ચ લેબોરેટરી અંદાજિત રૂ.૧.૦૦ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે. તદઉપરાંત, આ ફૂડ રીસર્ચ લેબોરેટરી ગુજરાત સિવિલ સપ્લાય નિગમને તેમના વિવિધ ખરીદી સેન્ટરો તેમજ સપ્લાયર્સ પોઇન્ટ પરથી સેમ્પલિંગ માટેની જરૂરી મદદ પૂરી પાડશે. આ અંગેની જરૂરી નાણાકીય સહાય ગુજરાત સિવિલ સપ્લાય નિગમ દ્વારા ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીને પૂરી પાડવામાં આવશે.ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે તા. ૧૯/૧૨/૨૦૧૭ના રોજ "ફૂડ રીસર્ચ લેબોરેટરી"ની સ્થાપના કરવામાં આવેલ છે. આ ફૂડ રીસર્ચ લેબોરેટરીમાં ઇન્સ્ટ્રુમેન્ટલ, ડ્રાય ટેસ્ટીંગ અને વેટ ટેસ્ટીંગ વિભાગો શરૂ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીએ જણાવેલ કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે મધ્યાહન ભોજન યોજના, સંકલિત બાળવિકાસ યોજના, અન્ન ત્રિવેણી યોજના તેમજ જાહેર વિતરણ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના લાભર્થીઓને ગુણવત્તાયુકત ખાદ્યસામગ્રી પુરી પાડી શકાય તે માટે રાજય સરકાર સતત ચિંતીત છે. આ ઉદ્દેશને ફળીભૂત કરવા માટે દેશમાં સૌપ્રથમવાર ફોરેન્સીક ક્ષેત્રે "ફૂડ રીસર્ચ લેબોરેટરી"ની સ્થાપના કરવામાં આવી છે. આ સુવિધા ઉભી થવાના કારણે રાજ્ય સરકાર પ્રજાજનોને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી પૂરી પાડી શકશે. આ "ફૂડ રીસર્ચ લેબોરેટરી" અન્ય રાજ્ય માટે દાખલારૂપ બનશે આ ખાતુ સીવીલ સપ્લાય વિભાગ ઉપરાંત રાજ્યની અન્ય સંસ્થાને તેમજ અન્ય રાજ્યોને ભવિષ્યમાં મદદ પૂરી પાડવાની નેમ ધરાવે છે.