રાજ્યમાં ચૂંટણીને લઈને જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરાઈ, તમામ હેરફેર પર નજર રખાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તેમજ ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની દેખરેખ માટે ચાર સ્પેશ્યલ ઑબ્ઝર્વર્સ અજય નાયક, નિવૃત આઈ.એ.એસ.ની સ્પેશ્યલ જનરલ ઑબ્ઝર્વર તરીકે દિપક મિશ્રા, નિવૃત આઈ.પી.એસ.ની સ્પેશ્યલ પોલીસ ઑબ્ઝર્વર તરીકે, બી. મુરલીકુમાર નિવૃત આઈ.આર.એસ.ની સ્પેશ્યલ એક્સપેન્ડિચર ઑબ્ઝર્વર તરીકે અને ભારતના ચૂંટણી પંચના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અક્ષય રાઉતની સ્પેશ્યલ ઑબ્ઝર્વર (ઈન્ક્લ્યુઝન એન્ડ એક્સેસિબીલીટી) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રચાર-પ્રસાર માટે વાહન પરવાનગી
અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. એકંદરે 390 વાહનોને કેન્દ્રિયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં 17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં 2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ 894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું 6156.09 લાખનું ડ્રગ્સ અને 806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે 7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.
આચારસંહિતાનો અમલ
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 2,89,225 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે.