અધ્યાપકો અને આશા વર્કરો માટે સારા સમાચાર
ગુજરાત સરકારે કરી વેતન વધારાની નવી જાહેરાતો. જાણો કોનો પગાર વધ્યો અને કોની લોન માફ થઇ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા પહેલા ગુજરાત સરકાર થાય એટલા લોકોને ખુશ કરવાના મૂડમાં છે. આ જ કારણે આજે સરકાર દ્વારા નોકરીયાત વર્ગ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. બુધવારે ગાંધીનગર વિધાનસભામાં વેતન વધારાને લઇને મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે મુજબ પ્રધ્યાપક સહાયકના વેતન વધારા હેઠળ હવે તેમનો પગાર 25 હજારમાંથી 40 હજાર કરવામાં આવશે. સાથે જ અધ્યાપકોને મેરીટ અને અનુભવના આધારે કાયમી કરવામાં આવશે.
વધુમાં આશા વર્કરોના વેતન વધારા માટે સરકાર પણ સરકાર વિચારણા કરશે. નોંધનીય છે કે આશા વર્કરનું વેતન કેન્દ્ર સરકાર આપે છે. પરંતુ રાજ્ય સરકાર પણ તેમના વેતન યોગદાન આપશે. તથા આરોગ્ય વિભાગ પોતાની યોજનામાં આશા વર્કરોનો સમાવેશ કરી વેતન વધારો કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.
સાથે જ 40 હજાર હોમગાર્ડ અને ગ્રામ રક્ષકોના વેતનમાં વધારાની પણ સરકારએ ગૃહમાં જાહેરાત કરી હતી. હોમગાર્ડ અને ગ્રામ રક્ષકના દિવસના વેતનમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે. હોમગાર્ડ અને ગ્રામ રક્ષકોને અત્યાર સુધી દિવસનું 200 રૂપિયા વેતન મળતું હતું, જેમાં 100 રૂપિયાનો વધારો કરતા હવે તે 300 રૂપિયા થયું છે. સાથે જ સરકારે બોર્ડ-નિગમમાંથી લેવાયેલી લોન પરની યોજનામાં રૂપિયા 123 કરોડની લોન પર વ્યાજ માફ કરવાની જાહેરાત પણ કરી છે. સાથે જ વ્યાયામ,ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી માટે સરકાર વિચારણા કરશે તેવું સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે.