રાષ્ટ્ર હિત માટે ‘ઘરે’ પરત ફર્યા ગોરધન ઝડફિયા
ગાંધીનગર, 24 ફેબ્રુઆરીઃ એક સમયના ભાજપના સક્રીય નેતા રહેલા અને નરેન્દ્ર મોદી સાથે વૈચારિક મતભેદ બાદ અલગ પાર્ટી બનાવનારા ગોરધન ઝડફિયા પુનઃ પોતાના ઘરે એટલે ભાજપમાં પરત ફર્યા છે. સોમવારે સાંજે ભાજપના નેતા આઇકે જાડેજા અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ગોરધન ઝડફિયા સહિતના ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતાઓએ કેસરિયો ખેસ પહેરી ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. જો કે જીપીપીના વિલિનીકરણને લઇને રહસ્ય હજુ અંકબંધ છે. જીપીપી નેતા સુરેશ મહેતાએ કહ્યું છે કે, જીપીપીનું વિલિનીકરણ નહીં થાય. તેઓ સુકાન સંભાળશે.
નોંધનીય છે કે, ગોરધન ઝડફિયાએ વર્ષો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી સાથે વૈચારિક મતભેદ થયા બાદ ભાજપ છોડી દીધું હતું અને પોતાની એક અલગ પાર્ટી લોન્ચ કરી હતી, ત્યાર બાદ જ્યારે કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરવામાં આવી ત્યારે ગોરધન ઝડફિયા તેમાં જોડાઇ ગયા હતા. તાજેતરમાં કેશુભાઇ પટેલ દ્વારા જીપીપીમાંથી રાજીનામું આપવામાં આવ્યા બાદ ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી હતી, જે આજે ખરી સાબિત થઇ છે.
જીપીપીના વિલિનીકરણને લઇને સુરેશ મહેતાએ કહ્યું છે કે, જીપીપીના કેટલાક નેતા જ ભાજપમાં ગયા છે, જેને લઇને પાર્ટીનું વિલિનીકરણ કરવામાં નહીં આવે, જીપીપીનું નવું સુકાન હું જાતે જ સંભાળીશ.