પેટ્રોલ-ડિઝલના ભડકે બળતાં ભાવમાં સરકાર લોકોને રાહત આપેઃ કૉંગ્રેસ
ગુજરાતમાં ભાજપ સરકાર પેટ્રોલ- ડિઝલમાં 24 ટકા અને સીએનજી પીએનજીમાં 15 ટકા વેરામાં ઘટાડો કરીને રાજ્યની જનતાને રાહત આપવા માંગ કરી છે.
ગુજરાતમાં ભાજપ સરકાર પેટ્રોલ- ડિઝલમાં 24 ટકા અને સીએનજી પીએનજીમાં 15 ટકા વેરામાં ઘટાડો કરીને રાજ્યની જનતાને રાહત આપવા માંગ કરી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પેટ્રોલ, ડિઝલના ભડકે બળતાં ભાવમાં ગુજરાતની પ્રજાને રાહત આપવાની માંગ કરી છે.
ગુજરાત કેન્દ્રના અન્યાય સામે કેમ ચૂપ ?
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર ભાવ વધારાનું ધીમુ ઝેર આપીને દેશના કરોડો મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખત્મ કરવાનું કામ કરી રહી છે. બાથરૂમમાં પાણીનો નળ ખોલો તો પાણીના બદલે પેટ્રોલ-ડિઝલ નિકળશેના જુઠ્ઠાણાં ફેકનારા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં હાલ દેશની જનતાનું તેલ નિકળી રહ્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડિઝલમાં બેફામ ભાવ વધારો કરતાં હવે ગુજરાત સરકાર કેન્દ્રના અન્યાય સામે કેમ ચૂપ છે. ગુજરાતને અન્યાય અને પેટ્રોલ- ડિઝલના સામાન્ય ભાવ વધારા સામે રસ્તા પર ઉતરી આવનારા ભાજપના નેતાઓ હવે આ જંગી ભાવ વધારા સામે કેમ ચૂપ દેખાય છે. ભાજપના નેતાઓ સામે ગંભીર સવાલો કર્યા હતા.
વેટમાં ઘટાડો કરી રાજ્ય સરકાર રાહત આપે
કૉંગ્રેસના શાસન દરમિયાન પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા વખતે કૉંગ્રેસ શાસિત રાજ્યોની સરકારોએ વેરામાં ઘટાડો કરીને નાગરિકોને વેરામાં રાહતો આપી હતી. તે રીતે હવે, પેટ્રોલ, ડિઝલ અને ગેસ પરના વેરાની વર્ષે 10 હજાર કરોડ રૂપીયાથી વધુની આવક ગુજરાતની ભાજપ સરકાર વસુલાત કરે છે. ત્યારે, રાજ્ય સરકાર વેરામાં પેટ્રોલ- ડિઝલ પર 24 ટકા અને સીએનજી - પીએનજી પર 15 ટકા વેરાનો ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઇએ.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાનો લાભ ન આપ્યો
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ 150 ડોલર પ્રતિ બેરલ હતો ત્યારે, પણ પેટ્રોલ- ડિઝલના આટલા ઉંચા ભાવ યુપીએ સરકારમાં નહોતા. જ્યારે, વર્તમાનમાં ક્રૂડ ઓઇલના ભાવ 78 ડોલર પ્રતિ બેરલ હોવા છતાં ભાજપ સરકારે પેટ્રોલ- ડિઝલના ભાવનો નવો રેકોર્ડ સર્જ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાનો લાભ પણ નાગરિકોને આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
જાહેર ક્ષેત્રની કંપનીઓને કરાવ્યો લાભ
કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરીને પ્રજાના ખિસ્સા ખંખેરી જાહેર ક્ષેત્રની કંપનીઓને ધૂમ ફાયદો કરાવી રહી છે. આ જાહેર ક્ષેત્રની કંપનીઓ તેના બદલામાં ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીના બ્રાન્ડીંગ પાછળ કરોડો રૂપીયા વાપરતી હોવાનો આક્ષેપ પણ કૉંગ્રેસના નેતાએ કર્યો હતો. ભાજપ અને જાહેર ક્ષેત્રની કંપનીઓના પારસ્પરિક સંબંધોના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
એનડીએ સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં તોતિંગ વધારો કર્યો
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, કૉંગ્રેસના યુપીએ- 2ના કાર્યકાળ દરમિયાન એપ્રિલ 2014માં પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટી 9.48 રૂપીયા અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.56 રૂપીયાહતી. જે ભાજપ સરકાર સત્તા પર આવતાં તોતિંગ વધારો કર્યો હતો. ભાજપ સરકારે ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં 380 ટકાનો વધારો કરીને 17.33 રૂપીયા અને પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં 133 ટકાનો વધારો કરીને 21.48 રૂપીયા કરી દેવામાં આવ્યો હતો. 2014થી 2016 સુધીના બે વર્ષના સમયગાળામાં ભાજપ સરકારે પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં નવ વખત વધારો કર્યો છે. જેના કારણે 2014માં જે આવક 99 હજાર કરોડ રૂપીયા હતી તેને 2016 સુધીમાં લોકોના પૈસા પડૈવીને બે લાખ 42 હજાર કરોડ સુધી પહોચાડી દીધી છે. આ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારાની સીધી અસર ગૃહિણીઓના સામાન્ય બજેટ પર પડી છે. ખેડૂતોની પડતર વધતાં અનાજ, કઠોળ, શાકભાજી, સહિતની ચીજ વસ્તુઓની પડતર ઉંચી જઇ રહી છે. યુપીએ સરકાર દરમિયાન 330 રૂપિયામાંમળતો ગેસ સિલિન્ડર આજે 800 રૂપિયાની સપાટી વટાવી ચુક્યો છે. રેલવે અને બસ મુસાફરીના ભાડામાં મોટો વધારો થયો છે. જ્યારે બીજી તરફ ઉત્પાદનોમાં લોકોને પોષણક્ષમ ભાવ મળતાં નથી તો બીજી તરફ સરકાર વેરાનું ભારણ વધારતી જાય છે. સામાન્ય અને મધ્યમ વર્ગના સેંકડો પરિવારો મોઘવારીના ખપ્પરમાં ધકેલાઇ ગયા છે.
જીએસટીના દાયરામાં લાવતાં કોણ રોકે છે?
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મૌનમોહન કહેનારા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેટ્રોલ- ડિઝલના ભાવ વધારા અંગે મૌન મોહન થઇ ગયા છે. આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકારો છે. ત્યારે, પેટ્રોલ- ડિઝલ અને ગેસને જીએસટીના દાયરામાં રાખવામાં કોણ રોકી રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ ડિઝલમાં રાહત મળે તે માટે જીએસટીમાં સમાવવા માંગ કરવી જોઇએ.
ભાજપની નીતિ ખુલ્લી પાડવા કરશે આંદોલન
જો ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો નહી કરે તો, કૉંગ્રેસ રસ્તા પર ઉતરશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલિભગતના કારણે પ્રજાને ભિંસમાં લેવાની ભાજપની નીતિ ખુલ્લી પાડવાનો અને રાજ્ય વ્યાપી જનઆંદોલન છેડવાની કૉંગ્રેસે ચિમકી આપી છે.