ગુજરાત પરિવર્તન પાર્ટી ભાવનગરથી શરૂ કરશે લોકવેદના યાત્રા
ચાર ઝોનમાં મુખ્યમંત્રી દ્વારા પ્રજાને હથેળીમાં ચાર ચાંદ બતાવવાના 108 જુઠ્ઠાણાંઓને હોમવાનાં શુધ્ધિયજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે રાજકોટનાં સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગનો શુધ્ધિ યજ્ઞ 1 મેના રોજ ત્રિકોણબાગ ખાતે યોજવામાં આવશે. ગુજરાતના રાજકારણમાંથી જુઠ્ઠાણાઓનો નાશ થાય તે માટે મંત્રોચ્ચાર સાથે 108 જુઠ્ઠાણાઓની આહુતિ આપીને ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, કર્મભૂમિ છે તેમાં છેલ્લા 12 વર્ષથી ભાજપ દ્વારા પ્રજાને જે ખોટા વચનો જ આપ્યા છે તેને જાહેરમાં જ યજ્ઞમાં હોમવામાં આવશે તેમ પાર્ટીનું કહેવુ છે.
ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત દુષ્કાળથી પીડાઇ રહયું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પ્રજાના દુઃખ દર્દ માટે પ્રજાની મદદે આવવાના બદલે વડાપ્રધાન બનવામાં વ્યસ્ત છે. આથી ગુજરાતનું પશુધન કતલખાને ધકેલાઇ રહયું છે. પીવાના પાણી માટે પ્રજા વલખા મારી રહી છે. પાક વીમાની ખેડુતો રાહ જોઇ રહયા છે. દુષ્કાળમાં શ્રમજીવીઓ માટે હજુ રાહતકામો ખોલવામાં આવ્યા નથી. આ તમામ પ્રશ્નો માટે પ્રજાને મદદરૂપ થવા ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓમાં મદદરૂપ 6મેના રોજ ભાવનગરથી લોકવેદના યાત્રાનું આયોજન કર્યુ છે.
લોક વેદના યાત્રા પાંચ દિવસ ભાવનગર, અમરેલી, જુનાગઢ વગેરે જિલ્લાઓમાં ફરી 11મીએ બપોર સુધી રાજકોટ નજીકના તાલુકાઓમાં ફરી સાંજે પાંચ વાગ્યે રાજકોટમાં વિરામ પામશે. યાત્રા પ્રારંભ અથવા સમાપન વખતે રાજકોટમાં કેશુભાઇ પટેલ હાજરી આપશે.
ઝડફિયાએ નર્મદા અવતરણ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે નર્મદા ડેમમાં 121.92 મીટરની ઉંચાઇ 2006 માં પુરી થઇ ગઇ છે અને ગુજરાતના ફાળે આવું 9 મિલીયન એકર ફીટ પાણી તો 6 વર્ષથી નરેન્દ્ર મોદીએ કેનાલોના માળખાઓ ન બનાવવા અને પીવાના પાણીની પાઇપલાઇનોની શ્રૃંખલા પુરી ન કરી તેના કારણે જ વણ વપરાયેલ પડી રહયું છે.