એક હજારના ટેકાના ભાવે હવે મગફળીની ખરીદી થશેઃ કૃષિમંત્રી
એક હજારના ટેકાના ભાવે હવે મગફળીની ખરીદી થશેઃ કૃષિમંત્રી
કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના નવા ભાવ જાહેર કર્યા છે. તેના કારણે, રાજ્યમાં હવે નવા ભાવથી આગામી 15 નવેમ્બરથી નવા ભાવથી ખરીદી કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી. ફળદુ અને જયેશ રાદડીયાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ટેકાના ભાવ વધારવાની જાહેરાત કરી હતી.
મગફળીના નવા ટેકાના ભાવમાં ફક્ત 23 રૂપીયાનો વધારો
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ના ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મગફળીની ખરીદી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મગફળીના વર્તમાન ભાવ 978થી વધારીને એક હજાર કરવાની જાહેરાત કરી હતી. તેમજ અગાઉ થયેલા મગફળી કૌભાંડના કારણે હવે મગફળીની ખરીદી ગુજકોટ પાસેથી પડાવી લેવાની અને નાફેડ દ્વારા ખરીદી કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મગફળીની ખરીદીમાં થયેલા કૌભાંડમાં ગુજકોટ એજેન્સી, કે જે મગફળીની ખરીદી કરતી અજેન્સી હતી. આ વખતે સરકારે ગુજકોટની મગફળીની ખરીદીમાંથી બાકાત રાખી છે.
નાયબ ક્લેક્ટર કક્ષાના અધિકારી દ્વારા થશે મોનિટરીંગ
રાજ્ય સરકારે મગફળી ખરીદીમાં કોઇ કૌભાંડ ન થાય અને યોગ્ય પારદર્શી ખરીદી થાય તે માટે યોગ્ય પગલાં લીધાં છે. આ વખતે મગફળીની ખરીદીમાં એક મણે રૂ.૨૩નો વધારો કરવામાં આવ્યો છે અને મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ન સર્જાય તે માટે મગફળીની ખરીદીનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે એવી જાહેરાત સરકારે કરી છે. તે ઉપરાંત સરકારના નાયબ ક્લેક્ટર કક્ષાના અધિકારી દ્વારા તેનું મોનિટરીંગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
શું મગફળી કાંડના દોષિતોને થશે સજા ?
કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૪૮૯૦ના ભાવે ખરીદી કરવામાં આવશે અને ગુજરાત સરકાર તેમાં ૧૧૦ રૂપીયા બોનસ રૂપે વધારે ચુકવશે. જેમાં ભારત સરકારની છત્ર યોજના પી.એમ આશા હેઠળ ટેકાના ભાવે રાજ્યની નોડલ એજેન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે જેમાં તારીખ ૦૧ નવેમ્બેરથી ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવશે જે ખેડૂત નોંધણી કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ નોંધણી કેંદ્ર ખાતે થશે. વધુમાં જાહેરાત કરી છે કે નોંધણી સમયે જરૂરી પુરાવા અને IFSC સહીત બેંક ખાતાની માહિતી આપવી પડશે, જેમાં ૭/૧૨ ના ઉતારા સહીત તલાટીનો દાખલો રજુ કરવો પડશે. રાજ્ય સરકારે અગાઉ થયેલા મગફળી કૌભાંડમાંથી બોધ લઇને વધારે સતર્કતા રાખવા પગલાં ભર્યાં છે. પરંતું, શું ફરીથી આંતરિક મીલીભગતથી કૌભાંડ નહી થાય ?.શું મગફળી કૌભાંડના દોષિતોને સજા થશે ?
રાજ્યમાં હવે નાફેડ કરશે મગફળીની ખરીદી
રાજ્યમાં આગામી 15 નવેમ્બરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજ્યભરમાં કુલ ૧૨૨ કેન્દ્રો પર ખરીદી શરુ કરવામાં આવશે. મગફળી ખરીદીનું વિડીયો રેકોર્ડીંગ થશે તથા નાયબ કલેકટરની સ્કોડ સમયાંતરે કેન્દ્રોની ચકાસણી કરશે. હાલમાં રાજ્યમાં ૧૪.૫૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જેમાં અંદાજીત ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થશે અને હેક્ટર દીઠ ૧૮૩૬ કિલો અંદાજીત ઉત્પાદન રહે તેવો અંદાજ છે. નવા ભાવના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ગુજકોટને બાકાત કરીને હવે માત્ર એજન્સી નાફેડ(નેશનલ એગ્રિકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ) મગફળીની ખરીદી કરશે. એટલે કે, નવી ખરીદી નાફેડ દ્વારા કરવાની જાહેરાત સરકારે કરી છે.