ગાંધીનગરમાં એગ્રીટેક એશિયા 2014 પ્રદર્શનનો આરંભ
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે 'એગ્રીટેક એશિયા 2014' એકઝીબિશનનું મહાત્મા મંદિર ખાતે સવારે 10 વાગે ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કૃષિમંત્રી બાબુભાઇ બોખિરીયા અને ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા છે.
આ એક્ઝિબિશનની વિશેષતા એ છે કે તે 15,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં અમેરિકા, ઇઝરાઇલ, બેલ્જિયમ, સાઇપ્રસ, ઇટાલી, સ્પેન, જાપાન, જર્મની, કેનેડા, હોલેન્ડ વગેરે જેવા દેશોએ ભાગ લીધો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં કાર્યરત 20 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું હોય છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2015ના પૂર્વાધ રૂપે તારીખ 3થી 5સપ્ટેમ્બર, 2014 દરમિયાન મહાત્મા મંદિરમાં અત્યાધુનિક કૃષિ તકનીક, પાક-પેદાશો, નવિનતમ શોધ-સંશોધનોની જાણકારી આપતું આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
ગુરુવારે 4 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહનસિંહની વિશેષ ઉપસ્થિતીમાં કૃષિ પાક વીમા અંગેના રાષ્ટ્રીય પરિસંવાદનો પણ સવારે 10.30 કલાકે મહાત્મા મંદિરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રીય પરિસંવાદમાં કૃષિ પાક વીમા ક્ષેત્રે કાર્યરત બેન્કો, જાહેર સાહસોના તજજ્ઞો દ્વારા માર્ગદર્શક વ્યાખ્યાનો, ચર્ચાસત્રો અને જૂથ ચર્ચા દિવસ દરમ્યાન યોજાવાના છે.
ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત અને દેશના અન્ય રાજયોના 500 ઉપરાંત ડેલિગેટસ, ભારત સરકારના પ્રતિનિધિઓ તેમજ કૃષિ સચિવઓ, રાજય બજાર બોર્ડના મેનેજિંગ ડિરેકટરો ઉપસ્થિત રહી કૃષિ પાક વીમા વિષયક ચિંતન કરશે.