જિનપિંગ માટે 5 સ્ટાર હયાતમાં બનશે બાજરીના રોટલા અને ખિચડી કઢી
અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ પોતાની ભારત યાત્રા અંતર્ગત સૌપ્રથમ ગુજરાતના અમદાવાદ શહેરમાં પહોંચવાના છે. ગુજરાતના સૌપ્રથમવાર મહેમાન બનનારા જિનપિંગ માટે ગુજરાતમાં 100થી વધારે ગુજરાતી વાનગીઓની સાથે શુદ્ધ દેશી ગુજરાતી બાજરાના રોટલા અને વઘારેલી ખિચડી પણ પીરસવામાં આવશે.
આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ જવાના છે. એરપોર્ટ પરથી જિનપિંગ સીધા જ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે જશે. આ હોટેલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચીનના ગ્વાંગદોંગ પ્રાંતની સરકાર વચ્ચે પરસ્પરના સમજુતિ પત્ર પર હસ્તાક્ષર કરીને કરાર કરવામાં આવશે. આ સમયે નરેન્દ્ર મોદી અને ક્ઝી જિનપિંગ બંને ત્યાં ઉપસ્થિત રહેશે.
આ હોટેલમાં જ જિનપિંગ ભોજન લેશે. તેમના માટે વિવિધ ગુજરાતી વ્યંજનોનો રસથાળ તૈયાર કરવામાં આવનાર છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ચીનના રાષ્ટ્રપતિની આગતા સ્વાગતા માટે અંદાજે 100 ગુજરાતી વાનગીઓ 5 સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતના શેફ તૈયાર કરશે. બપોરનું ભોજન કર્યા બાદ નરેન્દ્ર મોદી ક્ઝી જિનપિંગને પોતાની મહત્વકાંક્ષી યોજનાઓ પૈકી એક સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે લઇ જવાના છે.
મહત્વની બાબત એ છે કે હોટેલ ગ્રાન્ડ હયાતમાં ચીનના રાષ્ટરપતિને એક પણ ચાઇનીઝ અને નોન વેજ આઇટમ પીરસવામાં આવશે નહીં. તેમને માત્ર ગુજરાતી વ્યંજનો પીરસવામાં આવશે. તેમને ગુજરાતના બાજરાના રોટલા અને વઘારેલી ખિચડી પણ પીરસવામાં આવશે. જ્યારે સંભવિત ડિનર માટે સૂપથી લઇને ડેઝર્ટ સુધી તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. અમદાવાદમાં યોજાનારા રાત્રિભોજમાં અંદાજે 250થી વધારે મહેમાનો માટે ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજનો પીસરવામાં આવશે.