Gujarat Assembly Election 2022 : ભાજપના ઉમેદવાર પર હુમલો કર્યાનો આરોપ, કોંગ્રેસી નેતાઓએ આપી પ્રતિક્રિયા
દાંતા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી અને વર્તમાન ધારાસભ્ય પર ભાજપના ઉમેદવાર અને અન્ય ભાજપના નેતાઓ દ્વારા હુમલો કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. આ વચ્ચે દાંતા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી અને વર્તમાન ધારાસભ્ય પર ભાજપના ઉમેદવાર અને અન્ય ભાજપના નેતાઓ દ્વારા હુમલો કરવાનો આક્ષેપ લગાવ્યો છે. કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાધુ પારધીએ તેમના પર હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટનાની વિગતો આપતા કાંતિ ખરાડીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું મારા મતદારો પાસે જઈ રહ્યો હતો, ત્યારે ભાજપના ઉમેદવાર લધુ પારઘી, લાલકૃષ્ણ બરાડ, તેમના ભાઈ વદનજી અને અન્ય લોકો દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરો તલવારો અને અન્ય હથિયારોથી સજ્જ હતા.
રસ્તો રોકીને હુમલો કર્યો - કાંતિ ખરાડી
કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, અમે અમારા સમર્થકો સાથે વાહનમાં બામોદ્રા ફોર વે જઈ રહ્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવારે અમારો રસ્તો રોકી દીધો હતો. આ પછી અમે પાછા ફરવાનું નક્કી કર્યું હતું, આ દરમિયાન વધુ લોકો આવ્યા અને તેમને અમારા પર હુમલો કર્યો હતો. આજે મતદાન હોવાથી હું મારા મતવિસ્તારમાં જઈ રહ્યો હતો. મેં જોયું કે, ત્યાંનો માહોલ ગરમ છે, તેથી મેં ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું હતું. અમે પાછા ફરી રહ્યા હતા, ત્યારે પણ કેટલીક કાર અમારી પાછળ આવી હતી. ભાજપના ઉમેદવાર પારઘી અને અન્ય બે લોકો હથિયારો અને તલવારો સાથે હુમલો કરવા આવ્યા હતા. જે કારણે અમે વિચાર્યું કે, અમારે બચીને નાસી જવું જોઇએ, અમે 10-15 કિમી સુધી દોડ્યા અને બે કલાક સુધી જંગલમાં જ સંતાઇને રહ્યા હતા.
|
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્યો હતો ધારાસભ્ય ખરાડીના ગુમ થવાનો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કરીને કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ખરાડી પર કથિત હુમલાની નિંદા કરી છે. આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો કે, કોંગ્રેસના આદિવાસી નેતા અને દાંતા વિધાનસભાના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર ભાજપના ગુંડાઓએ ઘાતકી હુમલો કર્યો હતો અને તે બાદ કાંતિ ખરાડી ગાયબ છે.
|
જીગ્નેશ મેવાણીએ ખરાડી દ્વારા લખાયેલા પત્ર ચૂંટણી પંચને શેર કર્યો
ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ ખરાડી દ્વારા લખાયેલા પત્ર ચૂંટણી પંચને શેર કર્યો છે. જેમાં ખરાડીએ તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું હતું કે, હડાતના છોટા બામોદ્રા પાસે જ્યાં કાંતિ ભાઈ ખરાડી ઉપર જીવલેણ હુમલો થયો; ત્યાંથી એમની ટીમના સાથીઓ ઝાડીઓમાં જીવ બચાવવા સંતાયેલા છે અને ત્યાંથી મને ફોન કરી રહ્યા છે કે, અમને બચાવી લો. હજૂ પણ કાંતિભાઈના કોઈ સમાચાર નથી. ગુજરાતમાં તાનાશાહી એની ચરમસીમા પર છે. આ ઘટના અંગે ગુજરાત ડીજીપી તાત્કાલિત FIR કરો.
|
કોંગ્રેસ નેતા પવન ખેરાની પ્રતિક્રિયા
આ ઘટના અંગે ટ્વીટ કરતા કોંગ્રેસ નેતા પવન ખેરાએ જણાવ્યું હતું કે, દાંતા વિધાનસભા મતવિસ્તારના અમારા ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર જીવલેણ હુમલો થયો છે. તેમના અપહરણના પણ સમાચાર છે. અમે ચૂંટણી પંચને આ ઘટના થવાની શક્યાતાની જાણ કરી હતી, પરંતુ ચૂંટણી પંચ ઘોર નિત્રામાં હોવાથી તેમને આ અંગે પગલા લીધા નથી. ક્યાં છે ગુજરાત મોડલની બાડાઇ મારનારા અમિત શાહ અને નરેન્દ્ર મોદી?
|
હારના ડરથી બોખલાઇ ગયું છે ભાજપ - કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂને જણાવ્યું હતું કે, અમારા ધારાસભ્ય અને ગુજરાતની દાંતા વિધાનસભાના આદિવાસી ઉમેદવાર કાંતિભાઈ ખરાડી જી પર 4 ડિસેમ્બરની મોડી રાત્રે ભાજપના ગુંડાઓએ ઘાતકી હુમલો કર્યો હતો. પોતાનો જીવ બચાવવા તેને જંગલોમાં છૂપાઈ જવાની ફરજ પડી હતી. શું ECએ આના પર કાર્યવાહી ન કરવી જોઈએ? હારના ડરથી ભાજપ બોખલાઇ ગયું છે.
અમારા અન્ય ઉમેદવારોની પણ ફરિયાદો આવી રહી છે - ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જીતી રહી છે. અમારા ઉમેદવાર કાંતિ ખરાડી પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો અને 3 કલાક સુધી તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા. અમે EC ને ફોન કર્યો, 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચ્યા અને તેમને ત્યાં આવવા માટે બોલાવ્યા હતા. અમારા અન્ય ઉમેદવારોની પણ ફરિયાદો આવી રહી છે.