PM મોદીએ મોડાસામાં યોજી જાહેરસભા, કહ્યું – કોંગ્રેસે ગુજરાતને હંમેશા પછાત જ રાખ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આપણા ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટેની છે. આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષના નિર્ણય કરવા માટેની છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને જંગી બહુમતથી ફરી એક વાર ગુજરાતની જનાતા જનાર્દન ભારે બહુમત આપી વિજય બનાવે તે માટે વિજય સંકલ્પ સંમેલન થકી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા ખાતે જાહેરસભા સંબોધી જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ જિલ્લાના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા.
PM મોદીએ કેમ છે, આપણુ મોડાસા કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આપણા ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટેની છે. આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષના નિર્ણય કરવા માટેની છે. મને ખૂબર છે કે, મારુ ગુજરાત ભાજપને ચૂંટણી જીતાડવાના છે, પરંતુ હું તમારા આશિર્વાદ લેવા આવ્યો છું. આ આશિર્વાદ દેશની સેવા કરવા ઉર્જા આપે છે. આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાજમાં છે, આ વખતે ઉત્તર ગુજરાતમાં 100 ટકા કમળ ખીલવાનું છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું છે, કે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને હમેંશા પછાત જ રાખ્યું છે. મોડાસા-કપડવંજમાં રેલ માટે કેટલું આંદોલન થયું અહીંથી ઘણા મોટા નેતા ચૂંટણી જીતી ગયા છે, પણ તેમને કામ કરવું જ ન હતું, પરંતુ અમે નક્કી કર્યુ છે કે, ગુજરાત અને દેશનું ભલુ અમારે કરવું છે. અરવલ્લી, સાબકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમળ ખીલાવવા જુવાનિયાઓ, માતા-બહેનો મેદાને ઉતર્યા છે, તે અમારા માટે ગર્વની વાત છે. ભાજપ પર જનતાના આશિર્વાદ છે, તેનું કારણ એક જ છે કે વર્ષો સુધી અમારા કામને જોયા છે અને આજના 20 થી 25 વર્ષના જુવાનિયાઓએ અમને જ જોયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે પણ કઇ સારા સમાચાર આવે છે કહો. જે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને જવાબદારી આપી છે, તેમનુ ભલુ નથી કરી શકતા તો કોંગ્રેસ ગુજરાતનું કેમ ભલું કરે? કોંગ્રેસનું ભૂતકાળ વડિલોને પૂછજો, કોંગ્રેસનું કામ ભ્રષ્ટાચાર, એક બીજાના ટાંટીયા ખેંચવાનું આ જકામ પણ અમે દેશના જુવાનિયાની ચિંતા કરી કામ કરીએ છીએ. 20 વર્ષ પહેલા જે મુસીબતો ઘણી હતી તે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા રસ્તાઓના ઠેકાણા ન હતા આજે ગામો ગામ રસ્તાઓ બનાવ્યા છે, 20 વર્ષ પહેલા શૌચાલયની વ્યવસ્થાઓ ન હતી આજે ગુજરાતના ગામે ગામ શૌચાલય બનાવવાનું કામ કર્યું, ગુજરાતની મહિલાઓને ગેસના કનેકશન આપી ધુમાડામાંથી મુક્તિ અપાવી, કુપોષોણની સમસ્યાને દૂર કરવા પ્રયાસ કર્યો છે. આ બધા કામ કોંગ્રેસ કરી શકત પણ કામ કરવાની ઇચ્છા જ ન હતી. પહેલા ગર્ભવતી મહિલાઓની સુવાવડ ઘરે થતી જેના કારણે માતા અને બાળકોને કયારેક જીંદગી ગુમાવી પડતી પણ હોસ્પિટલો બનાવી માતા અને બાળકની જીંદગી બચાવવા પ્રયાસ કર્યા છે. આયુષ્યમાન યોજના લાવી પાંચ લાખ સુધી કોઇ પણ બિમારી આવે તેનું બીલ આ દિકરો ભરે છે. પહેલા સુરત, તાપી, વલસાડને બાદ કરતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતું દિવાળી ગઇ નથી કે પાણી ના વલખા પડતા આ દિવસો આપણે જોયા છે, પણ ભાજપ સરકારે પાણીના સંકટથી બહાર લાવવાનું કામ કર્યુ છે. આજે ગુજરાતમાં ઘરે ઘરે નળથી જળ પાણી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું કે, હવે દિલ્હીના બજારમાં સાબરકાંઠા જિલ્લાની શાકભાજી પહોંચે છે, દિલ્હીના લોકો પહેલા ગુજરાતનું નમક ખાતા હતા, ગુજરાતના દૂધની ચા પીતા હતા. હવે ગુજરાતની શાકભાજી ખાઇ મોટા થઇ રહ્યા છે. આ કામ અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લો કરી રહ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી વર્ષમાં ત્રણ વાર ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા છે, જેમાં આ જિલ્લામાં 2 લાખ કિસાનોના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા પાંચ ગણી વધી છે.
ગુજરાત આજે વિજળીમાં સરપ્લસ બન્યું છે. વીજળી આવી ત્યારે ગામડામાં કોરોના કાળમાં બાળક મોબાઇલ ફોનથી ભણી શક્યા હતા. PM મોદીએ વધુમાં જણાવ્યું કે, એક સમય હતો કે, ઉત્તર ગુજરાતના ખેડૂતો વીજળી માટે આંદોલન કરતા, કચ્છી પટેલો આંદોલનનું નેતૃત્વ કરતા, કોંગ્રેસની સરકાર ગોળીએ વિંધી દેતા, વીજળી માંગી અને ગોળી આપી દીધી હતી. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 55 લાખ વીજળી કનેકશન હતા. આજે અંદાજે 2 કરોડે પહોંચ્યા છે. આવનાર સમયમાં વિકસિત ગુજરાત બનાવવાની જવાબદારી આપણા જુવાનિયાઓના હાથમાં છે. વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સરકાર બનાવવાની છે. આ વખતે ભાજપના ઉમેદવારોને વધુ મતદાન કરી બધા રેકોર્ડ તોડી જીતાડજો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ સભાને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ , આરોગ્યના અભાવની સ્થિતિને દૂર કરવાનો નિર્ધાર કરી સત્તાને જનસેવાનું માધ્યમ બનાવ્યું છે. ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારમાં વિકાસના કામ થયા છે. તેના કારણે ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે. નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શહેરો વર્લ્ડ કલાસ બની રહ્યા છે. ગુજરાતમાં કૃષિ વિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. મોડાસા હવે એજ્યુકેશન હબ બની ગયું છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આદિજાતિ જિલ્લામાં 243 નવા વીજ સબસ્ટેશનોથી આશરે 258 ગામોમાં 24 કલાક વીજળી પહોચાડી છે. ડબલ એન્જિનની સરકારે શ્યામળાજીને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કર્યો છે. નરેન્દ્રના નેતૃત્વમાં ભાજપની વિજય યાત્રા અવિરત રાખવા કમળ ખીલવવાનું છે. વિશાલ વિજય સંકલ્પ સંમેલનમાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો અને ચૂંટાયેલા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.
આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.