ગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં
આ અંગેનો નિર્ણય સાંસદો નહીં, પણ હાઈકમાન્ડ લેશે. મંગળવારે સાંજ સુધીમાં અથવા બુધવારે હાઈકમાન્ડના નિર્ણયની જાણ બંને સાંસદોને કરી દેવામાં આવશે. ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા વિકટ જણાતી બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો મુકવા કોંગ્રેસે ત્રણ સાંસદોને વિધાનસભા બેઠક પર લડાવ્યા હતા. તે પૈકી વિઠ્ઠલ રાદડીયા અને સોમભાઈ પટેલ વિધાનસભા ચૂંટણી જીતી શક્યા છે. જ્યારે કુંવરજીભાઈ બાવળીયાનો બોટાદ બેઠક પર પરાજય થયો છે.
ભારતીય ચૂંટણી ધારણાના નિયમ મુજબ MPએ ધારાસભાની બેઠક જીત્યા પછી 14 દિવસમાં તેમણે પોતાનો વિકલ્પની જાણ ચૂંટણીપંચ અને સંસદ તથા વિધાનસભાના સચિવને કરવાની રહે છે. ગુજરાતની ચૂંટણીના પરિણામો 20 ડિસેમ્બરે જાહેર થયા હોવાથી 3 જાન્યુઆરી સુધીમાં આ વિધિ આટોપી લેવાની હોય છે.
નિયમની જોગવાઈ મુજબ જો 14 દિવસમાં ચૂંટાયેલા સભ્ય પોતાના વિકલ્પની જાણ યોગ્ય અધિકારીને ન કરે તો છેલ્લી ચૂંટણીના પરિણામ આખરી રહે છે. એટલે કે બંને સાંસદો સંસદસભ્યનું પદ ગુમાવે છે. વિઠ્ઠલ રાદડીયા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પદના દાવેદાર છે. આ સંજોગોમાં તેઓ ધારાસભ્ય રહેવા માંગે છે. જ્યારે સોમાભાઈ પટેલ હજુ અવઢવની સ્થિતિમાં છે. પરંતુ તેમણે ક્યું સ્થાન જાળવી રાખવું તેનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ લેશે.
હાઈકમાન્ડને સંસદમાં વધુ માથાની જરૂર છે. અવાર નવાર ઉભી થતી મતદાનની સ્થિતિમાં સંખ્યાબળ મહત્ત્વનું બની રહે છે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળનું મહત્વ હવે રહ્યું નથી.