ગુજરાત: ઘોરાડ પક્ષીને બચાવવા 20 ગામોના કુતરાઓનું ખસીકરણ થશે
ભુજ, 3 સપ્ટેમ્બર : ગુજરાતના કચ્છમાં લુપ્ત થવાના આરે આવી ચડેલાપક્ષી ઘોરાડને બચાવવા ખાસ રીકવરી પ્લાન ઘડવામાં આવ્યો છે. વર્ષ 2007ની પક્ષી વસ્તી ગણતરી મુજબ કચ્છમાં માત્ર 48 ઘોરાડ પક્ષી અસ્તિત્વમાં છે.
આ નામશેષ થઇ રહેલા પક્ષીને બચાવવા માટે રીકવરી પ્લાન અંતર્ગત અબડાસાના 20 ગામોમાં શ્વાનોનું ખસીકરણ કારવામાં આવશે. વન વિભાગના સહયોગથી કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવશે.
આ માટે ઓક્ટોબર મહિના સંભવત પ્રથમ અઠવાડિયાથી શ્વાનોની વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે. અબડાસામાં તેરા, કુણઠીયા, ભાચુંડા, જખૌ, નલીયા, ભાનાડા જેવા 20 ગામોના કુતરાઓની ખસીકરણ ઝુંબેશ હાથ ધરાશે.
શ્વાનોના ખસીકરણની કામગીરીમાં દેશના વિવિધ નિષ્ણાત વેટરનરી તબીબો સહિત કોર્બેટ ફાઉન્ડેશનના પંદર જણની ટીમ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓ મળી અંદાજે 25 વ્યક્તિઓની ટીમ ઝુંબેશમાં જોડાશે.
શ્વાનોના ખસીકરણ માટે બે મોબાઈલ વાન, પાંચ જેટલા ખાસ પાંજરા તૈનાત કરાશે. ખસીકરણના ઓપરેશન માટે બે ઓપરેશન થિયેટર પણ તૈયાર કરવામાં આવશે. શ્વાનોના ખસીકરણ બાદ તેમને બે દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. સ્વસ્થ થયા બાદ તેમને જયાંથી પકડેલા ત્યાં છોડી દેવામાં આવશે. શ્વાનોના ખસીકરણ ઉપરાંત તેમને હડકવા વિરોધી રસી મુકાશે. એટલું જ નહિં ખસીકરણ થયેલા શ્વાનોની સરળ ઓળખ માટે કાન પર ખાસ માર્કિંગ પણ કરવામાં આવશે.
ઘોરાડ કન્ઝર્વેશન કમિટીના મેમ્બર અને કોર્બેટ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેકટર દેવેશ ગઢવીના જણાવ્યા અનુસાર સમગ્ર ઝુંબેશ એકાદ સપ્તાહમાં જ પૂર્ણ કરી દેવાશે. રખડતા શ્વાનો ઘોરાડ અભયારણ્યમાં ઘુસી જઈ ને ઘોરાડની પ્રજનન કામગીરીને ખલેલ પહોંચાડે છે. ઘોરાડે મુકેલા ઈંડાઓ ખાઈ જાય છે. આથી ઘોરાડ સંરક્ષણ માટે શ્વાનોના ખસીકરણની ઝુંબેશ ખુબ મહત્ત્વની બની રહેશે. દરમિયાન ઘોરાડના સંવર્ધન માટે વિશેષ કેન્દ્ર સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે.