સોમવારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેશુભાઇને મળ્યા રૂપાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા. જાણો આ અંગે વધુ અહીં
ભાજપ દ્વારા વિધાનસભાની 2017ની ચૂંટણી માટે પહેલી યાદીમાં 70 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાલમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તેમની જૂની સીટ રાજકોટ પશ્ચિમ પરથી આ વખતની ચૂંટણીમાં પણ રીપીટ કરવામાં આવ્યા છે. 20 નવેમ્બર 2017ના રોજ સોમવારે સવારે 11 વાગ્યાના વિજય મૂહૂર્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ માટે ઉમેદવાદી ફોર્મ ભરશે. આ પ્રસંગે ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી પણ હાજર રહેશે. ફોર્મ ભરતા પહેલા વિજયરૂપાણી સવારે તેમના સમર્થકો સાથે રેલી નીકાળી સ્વામીનારાયણ મંદિર, બાલાજી હનુમાન મંદિરે દર્શન કરી સભા યોજી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકને ભાજપનું ગઢ માનવામાં આવે છે અને આ પહેલા અહીં વજુભાઇ વાળા સતત જીતતા આવ્યા છે. જે બાદ પેટાચૂંટણીમાં જ આ જ બેઠક પર જીતીની વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો છે.
ત્યારે સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ખાસ મુલાકાત તેમના નિવાસ સ્થાને લીધી હતી. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા તે કેશુભાઇ પટેલના વડીલ તરીકે આશીર્વાદ લેવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ગુજરાતમાં પાટીદારો ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેશુભાઇ પટેલના આશીર્વાદ એક રીતે વિજય રૂપાણીને મદદરૂપ થઇ શકે છે.