નર્મદા ડેમને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવા ગુજરાત કોંગ્રેસની માંગણી
અમદાવાદ, 15 જુલાઇ : ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર અને ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરી તેના માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવે.
આ અંગે વિધાનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના વ્હિપ બળવંતસિંહ રાજપુતે માંગણીના સંદર્ભમાં જણાવ્યું હતું કે નર્મદા વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1986માં નર્મદા યોજના પાછળ રૂપિયા 6,406 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. વર્ષ 2008-09 સુધીમાં આ ખર્ચ રૂપિયા 39,240 કરોડ સુધી પહોંચી ગયો હતો. હવે આગામી સમયમાં આ ખર્ચ રૂપિયા 50,000 કરોડ સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. આ ઉપરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે નર્મદા યોજનાનો ખર્ચ 576 ટકા જેટલો વધી ગયો છે.
તેમણે આગળ જણાવ્યું કે અત્યાર સુધીમાં આપણે નર્મદા યોજના પાછળ રૂપિયા 45,000 ખર્ચ કર્યો છે. છતાં, આ યોજનાનું માત્ર 34 ટકા કામ પૂરું થયું છે. 66 ટકા કામ હજી પણ બાકી છે.આ ઉપરાંત 10 લાખ હેક્ટરમાં સિંચાઇ અને 264 કુટુંબોને સ્થાનાંતરિત કરવાનું કામ હજી બાકી છે. આ યોજના પાછળ અત્યાર સુધીમાં રૂપિયા 15,000 કરોડ જેટલી રકમ વ્યાજ તરીકે ચૂકવવામાં આવી છે. આમ છતાં કેનાલનું કામ મંદ ગતિએ આગળ વધી રહ્યું છે.
આ કાર્યમાં ઝડપ આવે તે માટે નર્મદા ડેમ યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરીને વિશેષ ભંડોળની ફાળવણી કરવી જોઇએ. નોંધનીય છે કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો હતો કે નર્મદા ડેમ યોજનાના કાર્યમાં વિલંબથી ગુજરાતવાસીઓને પાણીની તકલીફ સહન કરવી પડી રહી છે.