રમખાણ કેસમાં મોદીને ક્લીન ચિટ મળતા થશે પાંચ ફાયદા
અમદાવાદ, 27 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ગઇકાલે ગુજરાતની મેટ્રોપોલિટિન કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપીને મોદીને રાહત આપી છે. મોદીને રમખાણ કેસમાં એસઆઇટીની ક્લોઝર રિપોર્ટમાં પણ ક્લીન ચિટ મળી ગઇ હતી તેની સામે વાંધો ઉઠાવતા ઝાકિયા જાફરીએ વાંધા અરજી અમદાવાદની કોર્ટમાં કરી હતી.
નરેન્દ્ર મોદીને હાલમાં દેશ નેક્સ્ટ વડાપ્રધાન તરીકે જોઇ રહ્યો છે. તેમજ દેશમાં હાલમાં મોદીની લહેર ચાલી રહી છે તે હાલમાં જ યોજાયેલા દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં જાણવા મળ્યું. ભાજપે ત્રણ રાજ્યોમાં બહુમતી મેળવી અને દિલ્હીમાં સૌથી વધારે બેઠકો મેળવી.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના માર્ગમાં આવનારી તમામ અડચણોને એક પછી એક દૂર કરીને આગળ વધી રહ્યા છે. મોદીએ ગઇકાલે કોર્ટના ચૂકાદા પર જણાવ્યું કે 'સત્યમેવ જયતે'. મોદી તરફી આવેલા ચૂકાદાથી મોદીને પાંચ ફાયદાઓ થઇ શકે છે. જે આ પ્રમાણે છે...
એક તરફ રાહત, બીજી તરફ આફત
એક તરફ મોદીને 2002ના રમખાણોમાં રાહત મળી ગઇ છે તો બીજી તરફ કથિત યુવતીની જાસૂસી કાંડમાં કેન્દ્ર દ્વારા તપાસ પંચની રચનાની મંજૂરી તેમની મુશ્કેલી વધારી શકે છે. લોકસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસી નેતાઓ મોદીને ઘેરવાની કોશીશ કરી રહ્યા છે, જોકે રમખાણમાં તેમને ક્લીન ચિટ મળતા કોંગી નેતાઓ નિરાશ છે.
મોદીના વિરોધીઓ થશે હતાશ
અમદાવાદ મેટ્રોપોલિટિન કોર્ટે એસઆઇટીની ક્લોઝર રિપોર્ટને માન્ય ગણીને મોદીને મળેલી ક્લીન ચિટનો અર્થ એ છે કે હવે નરેન્દ્ર મોદીની રમખાણ કેસમાં તપાસ થશે નહીં. બીજી બાજું રમખાણોને લઇને હંમેશા મોદી પર સવાલોનો મારો કરનારા તેમના વિરોધીઓનું મોઢું બંધ થઇ ગયું છે. આ ચૂકાદાથી સૌથી વધારે નિરાશા કોંગ્રેસ નેતાઓને થઇ છે.
લોકસભા ચૂંટણી માટે મળ્યું મોટું હથિયાર
કોર્ટના નિર્ણયને પાર્ટીએ 'સત્યની જીત' ગણાવતા જણાવ્યું છે કે કોંગ્રેસ અને તેમના મિત્ર એનજીઓ 11 વર્ષોથી મોદીની વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ કોર્ટના આ નિર્ણયથી નરેન્દ્ર મોદી અને મજબૂત બનીને ઉભર્યા છે.આ નિર્ણયથી કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને ગુજરાત રમખાણના નામે મોદીની વિરુદ્ધ ઊભા કરવાનો ઉપાય પણ નબળો પડતો દેખાઇ રહ્યો છે. આ નિર્ણયથી મોદી લઘુમતીઓના વિરોધી નહીં હોવાના દાવાને મજબૂતી મળશે.
મુસ્લીમોની નફરત ઓછી થશે?
ગુજરાત રમખાણોને લઇને મુસ્લિમોના દિલમાં જે નરેન્દ્ર મોદી પ્રત્યે નફરત છે તેને ઓછી કરવામાં સફળતા રહેશે. કોર્ટના ચૂકાદામાં મોદીને ક્લીન ચિટ મળતા વધુને વધુ મુસ્લિમો પાર્ટીમાં જોડાશે.
વધી શકે છે એનડીએના ઘટકદળ
નરેન્દ્ર મોદીને રમખાણ મામલામાં મળેલી ક્લીન ચિટના પગલે એનડીઓનો રૂતબો વધશે, અને વધુમાં વધુ ઘટક દળો એનડીએમાં જોડાઇ શકે છે. ઉપરાંત મોદીને સાંપ્રદાયિક ગણાવીને પાર્ટીથી અલગ થનારા પક્ષો પણ ફરી પાર્ટી સાથે જોડાઇ શકે છે. તેમજ ક્ષેત્રીય દળોનો દ્રષ્ટિકોણ બદલાઇ શકે છે.
જેડીયૂના અગલ થયા બાદ નબળા પડેલા એનડીએ માટે આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડી અને ચંદ્રબાબૂ નાયડૂ બંને નરમ પડી શકે છે. તમિળનાડુમાં જયલલિતા પણ જૂની દોસ્તી માટે માની શકે છે, તો ડીએમકે અને અન્ય નાના દળો પરણ સરળતાથી એનડીએમાં સામેલ થઇ શકે છે.