હું કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારું છું: ભરતસિંહ સોલંકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજાએ અમને 4 ટકા વધુ મત આપ્યા છે અને 80 સીટ આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સોમવારે સાંજે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજાએ અમને 4 ટકા વધુ મત આપ્યા છે અને 80 બેઠકો આપી છે, એ માટે અમે જનતાના આભારી છીએ. આ સાથે જ તેમણે ઇવીએમ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરીની હાર થઇ છે. આનો જવાબ આપતા હોય એમ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપના 5 જેટલા મંત્રી અને સ્પીકરની પણ હાર થઇ છે.
તેમણે આગળ કહ્યું કે, હવે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યો નવસર્જનની વાત આગળ લઇ જશે. આવનારા સમયમાં અમે સંગઠનને વધુ મજબૂત બનાવીશું. અમને બધી જગ્યાએ સફળતા મળી છે, શહેરોમાં પણ અમારા મતમાં વધારો થયો છે. શહેરીજનોનો પ્રેમ કેળવવા અમે જહેમત કરીશું. ગુજરાતની પ્રજાએ જે ચૂકાદો આપ્યો છે એ અમે સ્વીકારીએ છીએ. આ ચૂંટણી નિરપેક્ષ અને ન્યાયી થઇ હોવાનું માનીએ છીએ. અમે ચૂંટણી પંચ પર વિશ્વાસ રાખ્યો છે. પ્રદેશ અધ્યક્ષ હોવાને નાતે હું કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારું છું.