રાહુલને મેમરી પ્રોબ્લેમ હોય તો હોમિયોપેથિક દવા લે: ઉમા ભારતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કાર્યક્રમ માટે સોમવારે ગુજરાત પધારનાર છે, પરંતુ એના એક દિવસ પહેલા જ ભાજપ પીએમ મોદીના નામે પ્રચાર કાર્યક્રમો કરી રહ્યું છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની વણઝાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કાર્યક્રમ માટે સોમવારે ગુજરાત પધારનાર છે, પરંતુ એના એક દિવસ પહેલા જ ભાજપ પીએમ મોદીના નામે પ્રચાર કાર્યક્રમો કરી રહ્યું છે. 26 નવેમ્બર અને રવિવારના રોજ પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પહેલાં છેલ્લી વાર 'મન કી બાત' કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. આ સમયે ભાજપના વિવિધ નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં લગભગ 50 ભાજપ બૂથ પર કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સાંભળ્યો હતો અને ત્યાર બાદ કેટલાકે સભા સંબોધન પણ કર્યું હતું.
રાજ્યમાં ભાજપ નેતાઓનો મેળાવડો
આ કાર્યક્રમને 'મન કી બાત ચાય કે સાથ' નામ આપવામાં આવ્યું હતું. તમામ વિધાનસભાની બેઠક પર વિવિધ નેતાઓ આ કાર્યક્રમમાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રિય મંત્રી અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની, પિયુષ ગોયલ, ઉમા ભારતી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરેશ રાવલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધર્મેન્દ્ર પ્રધાન, પરશોત્તમ રૂપાલા, મનોજ તિવારી વગેરે જેવા અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
અરુણ જેટલીની સભા
'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યા બાદ સુરતમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને 9-11ના બે દિવસ પહેલા અપરાધી હાફિઝ સઇદને મુક્ત કર્યો છે ત્યારે સમગ્ર વિશ્વ એક અવાજે કહી રહ્યું છે કે, એવો દેશ જે આતંકનું સમર્થન કરતો હોય, એના માટે આખા વિશ્વમાં ક્યાંય જગ્યા નથી. મોદી સરકાર હેઠળ ભારતીય સેનાની નીતિની વાત કરતા તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 મહિનાથી એવી સ્થિતિ છે કે, જે કોઇ લશ્કર-એ-તોયબાનો કમાન્ડર બને છે એ ઝાઝા દિવસ ટકી નહીં શકે. આ સભા બાદ અરુણ જેટલી સુરતના ઉદ્યોગકાર સાથે પણ મુલાકાત કરનાર હતા.
CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહારો
મુખ્યંમત્રી વિજય રૂપાણીએ મોરવા ખાતે જનસભાનું સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના પહેલા વડાપ્રધાન છે, જે જનતા સાથે સંવાદ કરે છે. આ પહેલાના વડાપ્રધાન તો મૌની બાબા હતા, દેશ 10 વર્ષ પાછળ પડી ગયો હતો. સોનિયા ગાંધીની આગેવાનીમાં બનેલ મનમોહન સિંહની યુપીએ સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર હતી. મોદી સરકાર પ્રમાણિક સરકાર છે. ભ્રષ્ટાચાર વિરોધી શાસન આજે દેશ ભોગવી રહ્યો છે.
ઉમા ભારતીના રાહુલ પર પ્રહારો
કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ વડોદરામાં સભા ગજવી હતી. તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની મેમરી પર અમને શંકા નથી. રાહુલ ગાંધીને મેમરી પ્રોબ્લેમ હોય તો તેમણે હોમિયોપેથિક દવા લેવી જોઈએ. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દિવ્યાંગ બન્યો છે. કોંગ્રેસે હાર્દિક જેવા લોકોનો આધાર લેવો પડયો છે.