કોંગ્રેસ-પાસ ફરી સાથે, હાર્દિક રાજકોટમાં કરશે સત્તાવાર જાહેરાત
કોંગ્રેસ અને પાસ વચ્ચે સહમતિ સધાઇઅનામત અંગે સોમવારે રાજકોટમાં હાર્દિક કરશે અધિકૃત ઘોષણાઆ અંગે વધુ જાણો અહીં...
છેલ્લા 2 દિવસથી અનામત મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે વિખવાદ સર્જાયો હતો, જે રવિવારની બેઠક બાદ પૂર્ણ થયો છે. રવિવારે સાંજે 5 વાગે આખરે કોગ્રેસ અને પાસની બેઠક થઇ હતી, જેમાં અનામતના મુદ્દાએ સહમતિ સધાઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, અનામદ મુદ્દે શું સહમતિ સધાઇ એ અંગે પાસ કે કોંગ્રેસ દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી નહોતી. આ બેઠકમાં પાસ કોર કમિટિના સભ્યો તથા કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. બેઠક બાદ પાસ કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, બેઠક સકારાત્મક રહી. અનામદ મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે સહમતિ સધાઇ છે. બંધારણીય અનામત અંગેની કોંગ્રેસે અમારી તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. આ અંગે હવે હાર્દિક પટેલ દ્વારા સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટમાં અધિકૃત જાહેરાત કરવામાં આવશે.
પાસ કન્વીનરોને મળશે ટિકિટ?
પાસ અને કોંગ્રેસ વચ્ચે શું આખરી નિર્ણય લેવાયો એ અંગે કોઇ સ્પષ્ટ જાણકારી આપવામાં નહોતી આવી. પાસ કન્વીનરોને કોંગ્રેસ ટિકિટ આપવાની વાતો પણ ચર્ચાઇ રહી છે. આ અંગે જ્યારે દિનેશ બાંભણિયાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, 'અમારો પહેલો અને છેલ્લો મુદ્દો અનામત છે. ટિકિટ અમે ક્યારેય માંગી નથી અને માંગીશુ પણ નહીં. આ બેઠકમાં પણ ટિકિટ અંગે કોઇ જ ચર્ચા નથી થઇ. જો સમાજના ભલા માટે કોઇ પાસ કાર્યકર્તાને ટિકિટ આપવમાં આવશે અને એ સમાજની ભલાઇ માટે કામ કરનાર હશે, તો સમાજ નિર્ણય લેશે કે તે ઉમેદવારને સમર્થન આપવું કે નહીં અને પાસ પણ તો જ એ ઉમેદવારનું સમર્થન કરશે.' પાસ કન્વીનરોને ટિકિટ મામલે પણ રાજકોટની હાર્દિક પટેલની પત્રકાર પરિષદમાં જ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
લલિત વસોયાએ નથી આપ્યું રાજીનામુ
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે પાસના લલિત વસોયા પાસમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાશે અને ધોરાજી બેઠક માટે સોમવારે સવારે ઉમેદવારી ફોર્મ ભરશે. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દિનેશ બાંભણિયાએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે ફરી એમ જ કહ્યું હતું કે, આ અંગે સમાજ નિર્ણય લેશે. લલિત વસોયાએ પણ આ અંગે જણાવ્યું હતું કે,પાસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતો માત્ર આફવા છે. હું સમિતિ કહેશે એ પ્રમાણે જ કરીશ. જો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને પાસના કન્વીનર તરીકે, એમ બેમાંથી એકની પસંદગી કરવી પડે એમ હોય તો હું પાસના કન્વીનર તરીકે રહેવાનું જ વધારે પસંદ કરીશ.