ગુજરાત ચૂંટણી: ક્યાંક BJP તો ક્યાંક કોંગ્રેસના ગઢ તૂટ્યા
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો એટલે કે મત ગણતરી થઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંન્ને કાંટાની ટક્કર આપી રહ્યા છે. બે સીટ પર કોંગ્રેસનો વિજય જાહેર
સોમવાર સવારથી વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઇ હતી અને આ સાથે જ એક પછી એક બેઠકો પર કોણ આગળ છે એની માહિતી વચ્ચે વિવિધ બેઠકો પરના પરિણામો સામે આવવા માંડ્યા હતા. આ વખતે કેટલીક બેઠકો પરના પરિણામે લોકોને તથા ભાજપને આંચકો આપ્યો છે, તો કેટલીક બેઠકો પર દિગ્ગજ કોંગ્રેસી નેતાઓને આંચકો મળ્યોછે. સોમવારે જમાલપુર ખાડિયા બેઠક પરના પરિણામો સૌ પ્રથમ સામે આવ્યા હતા અને ભાજપનું ગઢ મનાતી આ બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી હતી. જી હા, ભાજપના ગઢમાં આખરે કોંગ્રેસે પગપેંસારો કર્યો છે. જમાલપુર ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ વિજય મેળવ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પર લોકોનો રોષ મતદાનમાં સ્પષ્ટપણે વ્યક્ત થયો છે. આ બેઠક પર ઇમરાન ખેડાવાલાની જીત સાથે કોંગ્રેસે જીતનું ખાતું ખોલ્યું છે, જે કોંગ્રેસ માટે રાહતના અને ભાજપ માટે ચિંતાના સમાચાર છે.
કોંગ્રેસે નોંધાવી જીત
આ બેઠક પર ભાજપની મજબૂત પકડ ગણાતી હતી, જો કે આ વખતે ભાજપે તેની પરંપરાગત બેઠક ગુમાવી છે. આ બેઠક પર દલિતો અને મુસલમાનોના મત કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાને મળ્યા છે અને આથી કોંગ્રેસનું જાતિવાદનું રાજકારણ કામ કરી ગયું હોવાનું કહેવાઇ રહ્યું છે. મત ગણતરીમાં સૌ પ્રથમ જમાલપુર ખાડિયા બેઠકનું પરિણામ સામે આવ્યું હતું અને તેમાં પહેલી જીત કોંગ્રેસે નોંધાવી હતી. આ સિવાય સુરતની માંડવી બેઠક પર પણ કોંગ્રેસ રેસના આનંદ ચૌધરીની જીત થઇ છે. ઝાલોદમાં કોંગ્રેસના ભાવેશ કટારાની જીત થઇ છે. બાબુ કટારાની પુત્ર ભાવેશ કટારાને રાતોરાત કોંગ્રેસમાં લેવામાં આવ્યા હતા અને કોંગ્રેસની આ મહેનતનું યોગ્ય પરિણામ મળ્યું છે.
જૂનાગઢમાં ભાજપની હાર
બીજો ભાજપનો મહત્વનો ગઢ એવી જૂનાગઢ બેઠક પર પણ કોંગ્રેસે જીત નોંધાવી છે. જૂનાગઢ બેઠક પર ભાજપના મહેન્દ્ર મશરૂની હાર થઇ છે. સતત 6 ટર્મથી જીતતા મહેન્દ્ર મશરૂની હાર ભાજપ માટે ચોંકાવનારી ખબર નથી. આ વર્ષે આ બેઠક પર કોંગ્રેસના ભિખાભાઇ જોશીની જીત થઇ છે. ભિખાભાઇ કોંગ્રેસના વફાદાર સૈનિક ગણાય છે અને તેમને ટિકિટ મળતાં જ રાજકારણનું વાતાવરણ પલટાયું હતું. જૂનાગઢની પ્રજાએ આખરે મહેન્દ્ર મશરૂને નકાર્યા છે. આ શહેર યાત્રાધામ ગણાય છે અને આમ છતાં આ શહેરનો વિકાસ યોગ્ય નહોતો થયો. રસ્તાઓ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓમાં અનેક ખામીઓ, જાહેર સુવિધાઓનો અભાવ વગેરેની નોંધ લોકોએ લીધી છે.
ભાજપના જયનારાયણ વ્યાસની હાર
એવી જ કંઇક હાલત સિદ્ધપુર બેઠક પર ભાજપના ઉમેદવાક જયનારાયણ વ્યાસની થઇ છે. દિગ્ગજ અને પ્રભાવશાળી નેતા ગણાતા જયનારાયણ વ્યાસે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આમ તો, પાટણની સિદ્ધપુર બેઠક હંમેશાથી કોંગ્રેસનો ગઢ મનાય છે,પરંતુ આ વખતે કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ દ્વારા અહીંથી જયનારાયણ વ્યાસને ટિકિટ આપવામાં આવી હતી, આમ છતાં ભાજપ અહીં વિજયપતાકા લહેરાવવામાં નિષ્ફળ થયું હતું. આ બેઠક પરથી કોંગ્રેસના ચંદન ઠાકોર વિજયી થયા છે. જૂનાગઢની વિસાવદર બેઠક પસ પણ ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભાજપના કીરિટ પટેલ સામે કોંગ્રેસના હર્ષદ રાબડિયાએ બાજી મારી હતી. આ કેશુભાઇ પટેલની પરંપરાગત બેઠક ગણાય છે અને છેલ્લી બે વારથી કોંગ્રેસ આ બેઠક પર જીત નોંધાવી રહી છે.
કોંગ્રેસના 4 દિગ્ગજોની કારમી હાર
આ નાની-મોટી જીત બાદ કોંગ્રેસ માટે દુઃખના સમાચાર છે દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની હાર. માંડવી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શક્તિસિંહ ગોહિલ પાસે પાર્ટીને ખૂબ આશા હતી, પરંતુ લોકોએ તેમને મત આપ્યા નથી. શક્તિસિંહ અબડાસાના ધારાસભ્ય હતા અને તેમણે બેઠક બદલીને માંડવી પરથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે, આ કારણે કોંગ્રેસને ઉલટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડભોઇથી ચૂંટણી લડી રહેલ સિદ્ધાર્થ પટેલના પણ એવા જ હાલ થયા છે. ભાજપના શૈલેષ મહેતા ડભોઇથી વિજેતા સાબિત થયા છે. પરિણામથી અસંતુષ્ટ સિદ્ધાર્થ પટેલ ફરી મત ગણતરી કરાવવાની પણ માંગણી કરી રહ્યાં છે. કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોરબંદરથી ચૂંટણી લડી રહેલા અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુ બોખરિયા સામે ઝીંક ઝીલી શક્યા નથી. આ સિવાય કોંગ્રેસના ચોથા નેતા તુષાર ચૌધરી પણ પોતાની બેઠક સાચવી શક્યા નથી.
વાવ બેઠક પર ભાજપની હાર
વાવ બેઠક પર શંકર ચૌધરીની હાર ભાજપ માટે ચિંતાજનક સમાચાર છે. આ બેઠક પરથી કોંગ્રેસના ગેનીબહેન ઠાકોરની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન ગેનીબહેનના સમર્થકો પર હુમલાના બનાવો પણ બવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ તરફી જુવાળનો ફાયદો વાવમાં ગેનીબહેન ઠાકોરને મળ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. વળી શંકર ચૌધરીના પોતાના જ કેટલાક કાર્યોને કારણે તેઓ હાર્યા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. બેંક અને ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર, ભાજપના નવા કાર્યકર્તાઓનો વિરોધ, વાવ તરફ ધ્યાન ન આપતા હોવાની સ્થાનિકોની ફરિયાદ, પૂર સમયે પૂરતી સહાય ન આપી હોવાની ફરિયાદ વગેરે કારણોસર વાવ બેઠક પર ભાજપ તથા શંકર ચૌધરીએ પોતાના સ્થાપિત મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબહેન ખૂબ ઓછા અંતરથી ચૂંટણી હાર્યા હતા, ત્યારે આ વખતે તેમને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.