અનામત આંદોલનને ટક્કર આપવા ભાજપના પાટીદાર તૈયાર
મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સમર્થનમાં પાટીદાર એક્તા રેલીનીતિન પટેલે કર્યું સંબોધનઅહીં તેમણે શું કહ્યું? જાણો અહીં...
શનિવારે મહેસાણામાં પાટીદાર સંકલન સમિતિ દ્વારા પાટીદાર એક્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સમર્થનમાં આ રેલી યોજાઇ હતી. ભાજપની 70 ઉમેદવારોની જે યાદી જાહેર થઇ છે, એમાં મહેસાણા બેઠક પરથી નીતિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ રેલી અંગે તેમણે કહ્યું હતું કે, મહેસાણામાં પાટીદારો મારી સાથે છે, હું ચોક્કસ જીતીશ. પાસ અને કોંગ્રેસનો પરપોટો ફૂટી ગયો છે. પાટીદારોના દરેક કામમાં હું મદદરૂપ થયો છું. આંદોલનના અનેક પ્રશ્નોનું અમે નિરાકરણ લાવ્યા છીએ.
શનિવારે સાંજે રેલી ચાઇના ગેટ પહોંચતા નીતિન પટેલે અહીં જનસભા પણ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં એક પણ રવિવાર એવો નહીં હોય, જ્યારે મેં મહેસાણાની મુલાકાત ન લીધી હોય. કોઇ પણ કામ હોય, સમાજ લક્ષી, વ્યક્તિલક્ષી કામ હોય એ મારી ફરજ સમજી મેં કર્યા છે. આ રેલી પાટીદાર સમાજનું ભવિષ્ય ઘડનારી રેલી છે. કોંગ્રેસની ખોટી વાતોમાં પાટીદારો આવે નહીં, એ માટે યુવાનોએ આજે જાતે પ્રતિનિધિત્વ લઇ આ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને જે પ્રતિસાદ મળ્યો છે, એ પછી કશુ કહેવાની જરૂર રહેતી નથી.