ખોડલધામ, ઉમિયાધામે આપી સ્પષ્ટતા નથી કરતા હાર્દિકને સમર્થન
ઉમિયાધામ અને ખોડલધામના હાર્દિક પટેલ અને તેના અનામત ફોર્મ્યુલા મામલે આપી સ્પષ્ટતા. બન્ને સંસ્થાઓએ કહ્યું આ અંગે અમને પુછવામાં નથી આવ્યું. જાણો આ અંગે વધુ અહીં.
હાર્દિક પટેલે જ્યાં આજે પ્રેસવાર્તા કરીને કોંગ્રેસના ફોર્મ્યુલાને સ્વીકારવાની વાત કરી છે. અને સાથે જ કહ્યું છે કે આ મામલે પાટીદારોની મહત્વની સંસ્થા ગણાતા ખોડલધામ અને ઉમિયાધામ પણ તેની સાથે છે. ત્યાં જ ખોડલધામ અને ઉમિયાધામે આ મામલે મીડિયામાં સ્પષ્ટતા આપી છે કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી. અને બરોબાર હાર્દિક પટેલ તેમની સંસ્થાના નામ લઇને સમર્થન આપવાની વાત કરી રહ્યો છે. નોંધનીય છે કે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફર્ન્સમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જે ફોર્મ્યુલા બહાર પાડ્યો છે તેમાં પાસ, ખોડલધામ અને ઉમિયાધામ ત્રણેય સાથે વાતચીત કરી તેમના સમર્થન લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉંઝા ઉમિયાધામના પ્રમુખ વિક્રમ પટેલ અને ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ આ અંગે સ્પષ્ટતા આપી છે કે કોંગ્રેસના ફોર્મ્યુલા જેવી કોઇ વાત તેમની સાથે કરવામાં નથી આવી અને આ બન્ને સંસ્થાઓ કોઇ પણ પાર્ટીને પોતાનું સમર્થન નથી આપી રહ્યા. વધુમાં ખોડલધામે આ અંગે વકીલો સાથે ચર્ચા કરી બે ત્રણ દિવસમાં આ અંગે પોતાનો નિર્ણય કહેવાની વાત એક મીડિયા ચેનલ સમક્ષ કરી હતી. પણ સાથે જ આ બંન્ને સત્તાઓ હાર્દિકે તેમની જાણ બહાર તેમના વતી સમર્થન જાહેર કરવાની વાત અંગે રોષ પણ વ્યક્ત કર્યો છે.