કેતન પટેલ સહિત વધુ 3 પાસ કન્વીનરો જોડાયા BJPમાં
શનિવારે વધુ ત્રણ પાસ કન્વીનરો જોડાયા ભાજપમાંકેતન પટેલ, શ્વેતા પટેલ અને અમરિશ પટેેલે પકડી ભાજપની વાટઆ અંગે વધુ જાણો અહીં...
ચૂટંણી નજીક આવતા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)નો વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. એક તરફ જ્યાં હાર્દિક પટેલ અને પાસ કોર કમિટિના સભ્યો કોંગ્રેસ સાથે અનામતના મુદ્દે બેઠકોનો દોર ચલાવી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ કેટલાક પાસ કન્વીનરોએ ભાજપની વાટ પકડી છે. વરુણ પટેલ અને રેશ્મા પટેલ બાદ ચિરાગ પટેલ ગુરૂવારે ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ શનિવારે અન્ય ત્રણ પાસ કન્વીનરો કેતન પટેલ, શ્વેતા પટેલ અને અમરીશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આ ત્રણેયને મનસુખ માંડવિયા દ્વારા ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. શ્વેતા પટેલ અને અમરિશ પટેલે શનિવારે અમદાવાદના ભાજપના મીડિયા સેન્ટર ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે શ્વેતા પટેલે કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિ સાથે ચેડાં ન થવા જોઇએ. અમારી લડત કોઇ એક પક્ષને જીતાડવા માટે કે બતાવવા માટે નહોતી. અમરિશ પટેલે કહ્યું હતું કે, પાસના મુદ્દા અને અનામત આંદોલન ભટકી પડ્યાં છે. કોંગ્રેસને ચૂંટણી સમયે પાટીદારો યાદ આવ્યા છે. તો કેતન પટેલે તો ઘણા ગંભીર આરોપો મુક્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાસના કાર્યકરોને કારણે આંદોલન હિંસક બન્યું હતું. દિનેશ બાંભણિયાએ તોડફોડ અને આગ ચાંપવાની સૂચના આપી હતી. દિનેશે પાસના કાર્યકર્તાઓને ફોન કરીને સૂચના આપી હતી અને પોલીસ સ્ટેશન સળગાવવાનો આદેશ આપ્યો હતો. રાજકીય માણસોએ આંદોલનમાં ઘૂસી મુદ્દો ભટકાવ્યો. પૂર્વ પાસ કન્વીનર કેતન પટેલ રાજદ્રોહના કેસમાં સાક્ષી છે અને ચિરાગ પટેલ પર રાજદ્રોહનો આરોપ છે. આ બંનેએ ઘણા સમય પહેલા જ હાર્દિક સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને તેમણે હાર્દિક પર સમાજના પૈસે લહેર કરતો હોવાનો આરોપ પણ મુક્યો હતો.