પંચમહાલના MPની દાદાગીરી, મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂક
પંચમહાલના સાંસદે મીડિયા કર્મીનો હાથ પકડી કહ્યું, લાફો મારી દઇશતેમના પરિવારમાં ચાલતા ટિકિટના વિખવાદ અંગે પ્રશ્ન પૂછાતા છંછેડાયા પ્રભાતસિંહઆ અંગે વધુ વાંચો અહીં...
રવિવારે ભાજપ દ્વારા 'મન કી બાત ચાય કે સાથ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ હેઠળ રાજ્યની દરેક વિધાનસભા બેઠક પર ભાજપના નેતા અને ભાજપના કાર્યકર્તાઓએ સાથે બેસીને પીએમ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો હતો. આ જ શ્રેણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાલની મોરવા હડફ વિધાનસભા બેઠકે પહોંચ્યા હતા. અહીં 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યા બાદ તેમણે સભાનું સંબોધન પણ કર્યું હતું. અહીં ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પણ પોહોંચ્યા હતા. મીડિયા કર્મીએ તેમને સવાલ કરતા તેઓ મીડિયા કર્મી પર ગુસ્સે ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રભાતસિંહ ચૌહાણે અમિત શાહને તેમની પત્નીને ટિકિટ ફાળવવા માટે પત્ર લખ્યો હતો, પરંતુ ભાજપ દ્વારા તેમની પુત્રવધુને ટિકિટ આપવામાં આવી છે. આ મામલે આખરે પ્રભાતસિંહે જ પક્ષ સામે નમતુ જોખવાનો વારો આવ્યો હતો. આ મામલે તેમણે અગાઉ કહ્યું હતું કે, ટિકિટની ચર્ચા હવે પૂર્ણ થઇ ગઇ છે, તેઓ હજુ પણ ભાજપમાં જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, પ્રભાતસિંહ ચૌહાણ ટિકિટની વાત ભૂલી ફરી પાછા પક્ષના કામમાં જોડાઇ ગયા છે. પરંતુ રવિવારે કાર્યક્રમમાં પહોંચેલ પ્રભાતસિંહનું વર્તન કંઇ બીજુ જ કહી રહ્યું હતું. તેઓ આ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા અને સીએમ રૂપાણી નીકળતા હતા એ સમયે મીડિયા કર્મચારીએ પ્રભાતસિંહને તેમના પરિવારમાં ચાલતા ટિકિટના વિખવાદ અંગે પ્રશ્ન કરતા તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે મીડિયા કર્મીનો હાથ પકડી લીધો હતો અને તેને લાફો મારવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા.