સુરેન્દ્રનગર: PM મોદીએ ગધેડા સાથે કરી પોતાની તુલના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની કમાન રવિવાર અને સોમવારે પીએમ મોદીના હાથમાં છે. રવિવારે ભરૂચમાં જનસભા સંબોધ્યા બાદ તેઓ પીએમ મોદી સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની કમાન રવિવાર અને સોમવારે પીએમ મોદીના હાથમાં છે. રવિવારે ભરૂચમાં જનસભા સંબોધ્યા બાદ તેઓ પીએમ મોદી સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. પીએમ મોદી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસભાનું સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણી પછી કોંગ્રેસીઓ 2019ની પણ વાત નહીં કરી શકે. એ લોકો કહેશે કે, ચાલો 2024ની તૈયારી કરીએ. ઝાલાવાડી પાઘડી, બંડી અને કોટિ પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં જનજુવાળ
નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં કહ્યું હતું કે, 'નવસારીની સભામાં મેં આગાહી કરી હતી કે, આવનારી ત્રણ ચૂંટણીના પરિણામો નક્કી છે. સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા બેસો તો પણ કોંગ્રેસ જોવા નહીં મળે. ઉત્તરપ્રદેશની મારી આગાહી સાચી પડી, ગુજરાત ચૂંટણીની આગાહી પણ સાચી પડશે. 2017ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને મરણતોલ અને જીવલેણ ફટકો આપશે, અને ભાજપનો વિજયવાવટો લહેરાશે. 2012માં અહીં આવ્યો ત્યારે આનાથી અડધી ભીડ પણ નહોતી. આજે એનાથી ડબલ ભીડ તો હેલિકોપ્ટર ઉતર્યું ત્યાં હતી. આ જનજુવાળ ગુજરાતના સ્વાભિમાનનો જનજુવાળ છે, આ જનજુવાળ વિકાસ માટેની સામાન્ય માનવીની શ્રદ્ધાનો જનજુવાળ છે, ગુજરાતને કોઈ પીંખી ન નાખે એના માટે આ જનજાગૃતિનો જુવાળ છે અને તે માટે હું ગુજરાતને સો સો સલામ કરું છું.'
સુરેન્દ્રનગરમાં પાણીનો દુકાળ હતો
'સુરેન્દ્રનગરમાં પાણીનો દુકાળ હતો. દિકરીઓને ભણતર છોડી માટલા લઇ પાણી લેવા જવું પડતું હતું. આજે નર્મદા યોજના પછી આખો સુરેન્દ્રનગર જિલ્લો લીલોછમ થઇ ગયો છે. આજે પહેલા કરતા સવા ગણીજમીનમાં વાવેતર શક્ય બન્યું છે અને નર્મદાના પાણીનો લાભ મળ્યો છે. આ ધરતીને પાણીદાર બનાવવાના અભિયાનને અમે પ્રાથમિકતા આપી છે. આ પાણી પહોંચવાના કારણે વિકાસ કેવો થાય છે તે જુઓ, આજે કપાસનું ઉત્પાદન ચારગણું થયું છે. મગફળીનું ઉત્પાદન 10 લાખ ટન હતું, આજે તેમાં અઢીગણો વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી શક્ય બન્યું છે. નર્મદાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળશે, આવનારા દિવસોમાં આ જિલ્લો ખેતી, લઘુઉદ્યોગ અને ટુરિઝમમાં શિરમોર બનશે.'
ગુજરાતના ગધેડાનું અપમાન
'અહીં લોકો મીઠું પકવીને જીવન કાઢતા હોય અને કેટલાક બહારના લોકો પોતાના લાભ ખાતર ગુજરાતની ગધેડાની ચર્ચા કરતા હતા. ઉત્તરપ્રદેશમાં બે જુવાનિયાઓ ગુજરાતના ગધેડાનું અપમાન કરતા હતા. આજે દેશનું ભલુ કરે એવો ગધેડો દેશને મળ્યો છે. મને ગધેડા હોવાનો મને ગર્વ છે, મારી જનતા મારી માલિક છે. આવા અપશબ્દો બોલનારાઓ ગુજરાતની મિજાજથી અજાણ છે. ગુજરાતની અસ્મિતાને કોઇ છેડે તો ગુજરાત એને છોડતું નથી.'
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
'છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીની વાતો થઇ રહી છે. શાહજાદા નામનો કોઇ જુવાનિયો છે. આ ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યોનું હનન થયું છે. શેહઝાદ નામના કોંગી કાર્યકર્તાએ કોંગ્રેસની જ ધજ્જિયા ઉડાડી દીધી છે, ત્યારે કોંગ્રેસે ફતવો બહાર પાડીને તેને તમામ વૉટ્સએપ્પ ગ્રુપમાંથી કાઢી મુકવાનો નિર્દેશ કર્યો છે. ઘરમાં જ લોકશાહી ન હોય તો દેશની લોકશાહીનો કઈ રીતે સ્વીકાર કરી શકે? કોંગ્રેસના ભૂતકાળ સામે જુઓ, આમાં કઈ નવું નથી, પરંપરાગત રીતે આમ જ ચાલ્યું છે. અગાઉ બધા કોંગ્રેસના લોકો ઇચ્છતા હોવા છતાંય સરદાર પટેલને અન્યાય કરીને નહેરુએ પોતે વડાપ્રધાનપદ લીધું હતું.'
'કોંગ્રેસની સેવા કરીએ'
'મને લાગે છે કે આપણે કોંગ્રેસની સેવા કરીએ. કોંગ્રેસના લોકોને આગામી 5 વર્ષ કોઇ રિસોર્ટમાં લહેર કરવી હોય તો કરવા દેવી જોઇએ. એમને બેંગ્લોરના રિસોર્ટમાં 5 વર્ષનું બૂકિંગ કરાવી આપીએ. કોઈપણ ક્ષેત્રનો વિકાસ હોય, અમે પાછીપાની કરી નથી, ચોટીલામાં અતિવૃષ્ટિ થઇ ત્યારે, આ સરકાર ખડેપગે ઉભી હતી. અને કોંગ્રેસ ત્યારે, તેના ધારાસભ્યોને બેંગ્લોર રિસોર્ટમાં મોકલ્યા હતા. બનાસકાંઠાના પૂર વખતે પણ કોંગ્રેસે આ જ કર્યું. કોંગ્રેસના લોકો વ્યક્તિગત ટિપ્પણી કરવામાં પણ કશું બાકી રાખતા નથી. હશે, એમના સંસ્કાર. હું કોઇ અંગ્રેજી શાળામાં ભણ્યો નથી, મને સરકારી શાળામાં વડીલ દાદાએ ભણાવ્યા હતા. તેમણે અમને સાચે રસ્તે ચાલતા શીખવ્યું. અખા છપ્પા શીખવે છે કે, જીવન કેમ જીવવું. અખો કહેતો, એક મૂરખને એવી ટેવ. પથ્થર એટલા પૂજે દેવ. કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.'
'કોંગ્રેસે જાતિવાદનું ઝેર ભેળવ્યું'
'ગુજરાતમાં વિકાસ ન કર્યો, એમને કરવો નહોતો કે આવડતું નહોતું. પરંતુ એમણે સૌથી મોટી કુસેવા કરી, જેમાંથી ગુજરાતને બહાર આવતા આવતા બે દશકા નીકળી ગયા. એમાંથી એક સ્વતંત્ર પક્ષ ઊભો થયો. એ વખતે મારા ગામમાં ફતેહસિંહ ગાયકવાડ અને ભાઇકાકા સભા કરવા આવ્યા હતા. હું સાવ નાનો હતો. તેમણે એ વખતે કહ્યું હતું કે, પ એટલે પટેલ અને ક્ષ એટલે ક્ષત્રિય. એ વખતે બંને સમાજ ભેગા હતા અને એ વખતે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં સાફ થઇ ગઇ હતી. 1967ની ચૂંટણીમાં સામાજિક એક્તાને કારણે કોંગ્રેસ સામે ભયંકર પડકાર ઊભો થયો હતો અને તેમણે આ બંનેને છૂટા કરી નાંખ્યા હતા. પટેલના દિકરા સરદારના એક બોલ પર ગુજરાતના ક્ષત્રિય સમાજે પોતાના રાજ-રજવાડા દેશની એક્તાને સમર્પિત કરી દીધા હતા. એમાં જાતિવાદનું ઝેર ભેળવ્યું કોંગ્રેસે. એક વર્ષમાં 100 હુલ્લડો થાય, એવા દિવસો ગુજરાતે જોયા છે. હવે આ ચૂંટણીમાં ગુજરાતના તાણા-વાણા કોઇ વીંખી ન નાંખે એ જોજો. ગુજરાતની યુવા પેઢીની આવતીકાલ ઉજળી થાય એ માટે આપણે એક રસ્તો પકડ્યો છે. આજે તમે મને દિલ્હીમાં બેસાડ્યો છે. ત્યારે તમારા બેય હાથમાં લાડવા છે. જેટલો વકરો એટલો નફો. દેશનો કોઇ વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં આવી 50 લોકોને નામથી બોલાવી શકે? હું બોલાવી શકું. તમે મને ગમે ત્યારે કંઇ પણ કહી શકો છો. ત્યારે એનો લાભ તમારે ચોક્કસ લેવો જોઇએ.'