હાર્દિકની પ્રેસ કોન્ફરન્સ બાદ વરુણ અને રેશ્માએ શું કહ્યું?
વરુણ પટેલ અને રેશ્મા પટેલે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ આપી પ્રતિક્રિયાહાર્દિકનું આંદોલન કોંગ્રેસ જીતાડો આંદોલન: વરુણ પટેલઅનામત માટેની ફોર્મ્યૂલા નહીં,સમાજને ગેરમાર્ગે દોરવાની રણનીતિ:રેશ્મા પટેલ
હાર્દિક પટેલે બુધવારે પત્રકાર પરિષદ કરી આખરે અનામત મામલે પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલ સમજૂતી પરથી પડદો ઊંચક્યો હતો અને કોંગ્રેસની ફોર્મ્યૂલા લોકોને જણાવી હતી. એ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હાર્દિક અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સિવાય ભાજપમાં જોડાયેલ પૂર્વ પાસ કન્વીનરો વરુણ પટેલ અને રેશ્મા પટેલે પણ પોતાનો પક્ષ રજૂ કરતાં હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. વરુણ પટેલે હાર્દિકના અનામત અભિયાનને કોંગ્રેસ જીતાડો અભિયાન ગણાવ્યું હતું. તો રેશ્મા પટેલે કહ્યું હતું કે, પત્રકાર પરિષદમાં હાર્દિકના શબ્દો પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે, હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે. કોંગ્રેસ કે પાસની અનામત માટેની કોઇ ફોર્મ્યૂલા નથી, આ માત્ર સમાજને ગેરમાર્ગે દોરવાની સ્ટ્રેટેજી છે.
રેશ્મા પટેલે આગળ કહ્યું હતું કે, એ લોકો પાટીદાર સમાજને અનામત અપાવી શકે એવી સ્થિતિમાં જ નથી. કોંગ્રેસ સાથે તેમણે ટિકિટની ગોઠવણી કરી છે, સોદેબાજી કરી છે અને હવે સમાજ સામે પોતાની જાતને સારા સાબિત કરવા માટે આ બધા તરકટ હાથ ધર્યા છે. બંધારણના દાયરામાં જે શક્ય હતું એ ભાજપે આપ્યું છે. અત્યારે જે થઇ રહ્યું છે, એ માત્ર અને માત્ર કોંગ્રેસ અને પાસની સોદાબાજીને સાર્થક કરવાના નિષ્ફળ પ્રયત્નો છે. એમના અને કોંગ્રેસના નિવેદનો વિરોધાભાસી છે અને એના પરથી જ સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જાય છે. પાસ કહે છે, કોંગ્રેસની દરખાસ્ત છે. કોંગ્રેસ કહે છે, પાસની દરખાસ્ત છે, શક્ય હશે તો કાર્યવાહી કરીશું. છેલ્લે કોંગ્રેસનું એક જ વાક્ય હશે કે, અમે તો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોર્ટે માન્ય ન રાખ્યું. ઓબીસી અનામતની વાત કરતા-કરતા એ લોકો રસ્તો ભટકી ગયા છે, કોંગ્રેસ અને પાસ વચ્ચે ટિકિટ બાબતે જે વિવાદ થયો એ સૌએ જોયો છે. હાર્દિક કહે છે, સમાજ અમારી જોડે છે, એક પણ સંસ્થા એની જોડે નથી. દરેક સંસ્થાએ પોતાના નિવેદનોમાં આ વાત સ્પષ્ટ કરી છે.