ગુજરાત ચૂંટણી: વિરોધને પગલે ઉમેદવારી ફોર્મ થયું સ્થગિત
ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મંગળવારે હતી. ત્યાર બાદ બુધવારે આ ફોર્મની ચકાસણી ચાલી રહી છે. એમાં પણ વિવિધ વિખવાદો સામે આવી રહ્યાં છે.
ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મંગળવારે હતી. ત્યાર બાદ બુધવારે આ ફોર્મની ચકાસણી ચાલી રહી છે. એમાં પણ વિવિધ વિખવાદો સામે આવી રહ્યાં છે. 149 ડેડીયાપાડા વિધાનસભાની ફોર્મ ચકાસણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાની ઉમેદવારી સામે વાંધો લેવામાં આવ્યો છે.ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ સ્થગિત કર્યું છે અને આ અંગે ગુરૂવારે નિર્ણય લેવાશે. કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા અને રાકેશ વસાવાએ આ વાંધો ઉઠાવ્યો હતો.
વર્ષ 2014માં અંકલેશ્વર એડિશનલ સેસન્સ કોર્ટે મહેશભાઇ છોટુભાઈ વસાવાને ત્રણ વર્ષની સાદી કેદ અને 1000 નો દંડ ફટકાર્યો હતો. અમરસિંહ વસાવાના વાંધા મુજબ જે વ્યક્તિને કોર્ટે સજા ફટકારી હોય તે વ્યક્તિ ઉમેદવારી ના કરી શકે. ચૂંટણી અધિકારીએ વાંધો મળતા હાલ ફોર્મ સ્થગિત કર્યું છે અને ગુરૂવારે 11 કલાકે આ મામલાની વિસ્તૃત સુનાવણી રાખવામાં આવી છે. અમરસિંહ વસાવાએ મીડિયા સામે રાહુલ ગાંધી પર પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ટીપુ સુલતાનને મહાન ગણે છે. રાહુલ ગાંધીની મંદિરની મુલાકાતો એ તેમની મજબૂરી છે. નાંદોદ વિધાનસભા બેઠક પરથી પણ એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. તો બીજી બાજુ, શંકરસિંહ વાઘેલાના જન વિકલ્પ મોરચા અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનું ફોર્મ રદ થયું છે. તેમના ઉમેદવાર હવે ઉમેદવારી નહીં કરી શકે. ફોર્મ ભરવા માટે 10 ટેકેદારો જોઈતા હતા, એના સ્થાને માત્ર એક ટેકેદાર રજુ થયો હતો.