Gujarat election: કોંગ્રેસને ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો, ભગાભાઈ બારડે આપ્યુ રાજીનામુ
રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લાની તલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે કોંગ્રેસના બધા પદો પરથી પોતાનુ રાજીનામુ આપી દીધુ.
Gujarat election: ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખોના એલાન પછી સતત પક્ષપલટો ચાલુ છે. વિપક્ષી દળ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લાની તલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે કોંગ્રેસના બધા પદો પરથી પોતાનુ રાજીનામુ આપી દીધુ. આજે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યને રાજીનામુ સોંપ્યુ.
ભગાભાઈ બારડ આહિર સમાજના અગ્રણી છે અને તેઓ સાંસદ સ્વ. જશભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ. જશાભાઈ અને ભગવાનભાઈ બારડના પિતા ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. ભગાભાઈ બારડ 2017થી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેઓ વર્ષ 2017માં 31730 મતોથી વિજેતા બન્યા હતા. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનુ ઑપરેશન એક સાંસદે પાર પાડ્યુ હતુ. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાળાથી ચૂંટણી લડશે તેવી અટકળો છે.
આદિવાસી પછી ભાજપની નજર આહિર મતો પર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા માટે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યુ હોવાની ચર્ચા છે. વાસણભાઈ આહિરને રિપિટ કરવામાં ન આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપીને જણાવ્યુ હતુ કે પક્ષ છોડી રહેલા ધારાસભ્યએ જ જાહેર કરવુ જોઈએ કે શા માટે પક્ષ છોડી રહ્યા છે. ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓના કારણે ધારાસભ્ય પદ ટકી રહેલુ હતુ ત્યારે હવે એ જ જાહેર કરે તે શા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ 10 વખત ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસ નેતા મોહન સિંહ રાઠવાએ પણ પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસ છોડીને તેઓ સત્તાધારી ભાજપમાં જોડાયા હતા. રાઠવા 78 વર્ષના થઈ ગયા છે. તેમના પુત્રો પણ રાજકારણમાં છે. ઘણા દિવસોથી રાઠવાના ભાજપમાં જોડાવાના અહેવાલો હતા. ગત રોજ તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ હતુ. જે બાદ તેઓ ગઈકાલે રાત્રે જ ભાજપમાં જોડાયા હતા.