જીજ્ઞેશ મેવાણી સામે બિનજામીન પાત્ર અરેસ્ટ વોરંટ જાહેર
જીજ્ઞેશ મેવાણી સામે બિનજામીન પાત્ર અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. જાણો તેની પાછળનું કારણ અહીં
જાન્યુઆરી મહિનામાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં કરવામાં આવેલા રેલ રોકો આંદોલનને લગતા કેસમાં સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર ન રહેવાને કારણે મેટ્રોપોલિટન કોર્ટે તેના વિરુદ્ઘ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. મેવાણીના એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું કે, મેટ્રોપોલિટન કોર્ટ નંબર ૫ દ્વારા જીજ્ઞેશ વિરુદ્ઘ બિન જામીનપાત્ર વોરંટ સોમવારના રોજ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
એડવોકેટના જણાવ્યા અનુસાર, કોર્ટને અરજી કરવામાં આવી હતી કે નોમિનેશનની પ્રક્રિયા માટે મેવાણી ઉત્તર ગુજરાતના વડગામમાં છે, માટે તે કોર્ટમાં હાજર નહીં રહી શકે. પરંતુ કોર્ટની દલીલ હતી કે, નોમિનેશનની પ્રક્રિયા તે સુનાવણીની તારીખ પહેલા પણ સમાપ્ત કરી શકતા હતા. આ પહેલા પણ એક વાર તે સુનાવણીની તારીખે ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલન દરમિયાન જીજ્ઞેશ અને તેના સપોર્ટર્સે અમદાવાદ રેલવે સ્ટેશનના પાટા પર બેસીને રાજધાની એકસપ્રેસને રોકી હતી. તે દરમિયાન જીજ્ઞેશની ધરપકડ કરવામાં આવી હતી. જીજ્ઞેશની માંગ હતી કે, વર્ષો પહેલાથી દલિતોને જે જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે