શનિવારની ચૂંટણી આ કદાવર નેતાઓ માટે બનશે વટનો સવાલ
શનિવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલા તબક્કા શરૂ થશે. તેમાં આ કોંગ્રેસ અને ભાજપના મહત્વના નેતાઓનું ભાવિ નક્કી થશે. જાણો આ અંગે વિગતવાર અહીં.
શનિવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ ચરણમાં કુલ 32 લાખ, 42 હજાર 599 મતદાતા ભાગ લેશે. આ પહેલા તબક્કાના ચરણમાં કુલ 977 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક કદાવર નેતાઓ માટે વટનો સવાલ બન્યો છે. રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ભાવિ આ પહેલા તબક્કાના મતદાનમાં નક્કી થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કયા નેતાઓનું ભાવિ આ પહેલા તબક્કાની ચૂંટણીમાં નક્કી થશે તે અંગે જાણો અહીં. સાથે જ જાણો ચૂંટણીની કેટલીક રસપ્રદ વાતો...

વિજય રૂપાણી
રાજકોટ પશ્ચિમથી સીએમ વિજય રૂપાણી, જે ગુજરાતના મુખ્યમંત્રી પણ છે તેમનું ભાવિ કાલે આ પહેલા તબક્કાની ચૂંટણીમાં નક્કી થશે. તેમની સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ ઊભા છે. આજે ખોડલઘામ ટ્રસ્ટે લેઉવા પાટીદારનું સમર્થન વિજય રૂપાણીને જાહેર કરવાની વાત કરી છે. ત્યારે પાટીદારોનું ગઢ મનાતા રાજકોટમાં ઇન્દ્રનીલ અને રૂપાણી વચ્ચે કાંટાની ટક્કર આ ચૂંટણીમાં થવાની છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું ભવિષ્ય પણ શનિવારની આ ચૂંટણી નક્કી કરશે. શરૂઆતમાં કરડિયા રાજપૂતોએ જીતુ વાઘાણીનો વિરોધ કર્યો હતો. પણ પાછળથી રૂપાણી સરકારે પદ્માવતી પર બેન લગાવતા અને રાજપૂતો સાથે વાઘાણીનું સમાધાન થતા વાત શાંત થઇ હતી.

શક્તિસિંહ ગોહિલ
આ સાથે કોંગ્રેસના મુખ્યમંત્રી ઉમેદવાર મનાતા શક્તિસિંહ ગોહિલનું ભાવી પણ શનિવારના આ મતદાનમાં નક્કી થશે. માંડવીથી શક્તિસિંહ ઉતાર્યા પછી તેમને આયાતી ઉમેદવાર મનાતા હતા. પણ હવે અહીં પણ બધુ ઠીક થઇ ગયું છે.

અર્જૂન મોઢવાડિયા
પોરબંદરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા લડી રહ્યા છે. 2012માં અહીંથી બાબુ બોખરિયા જીત્યા હતા. આ વખતે ફરી આજ સીટ પરથી કોંગ્રેસે મોઢવાડિયાને ઉતાર્યા છે. નોંધનીય છે કે બાબુ બોખરિયા પણ ભાજપના વરિષ્ઠ નેતા છે. 2012માં જીતેલા બોખરિયા પર 50 કરોડના લાઇમ સ્ટોનની ચોરીનો આરોપ લાગેલો છે. જે પર હાલ કેસ ચાલે છે. તેમ છતાં બોખરિયા માટે પણ આ ચૂંટણી વટનો સવાલ ચોક્કસથી છે.

અન્ય મહત્વના નેતા
આ સિવાય જામનગર દક્ષિણ પરથી ભાજપના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદૂ, ધોરાજીના હાર્દિક પટેલના સાથી લલિત વસોયા જે કોંગ્રેસના નેતા છે, કુતિયાળાથી ગોડ મધર સંતોકબેનના પુત્ર કાંધલ જેવા નેતાઓનું પણ ભવિષ્ય આ પહેલા તબક્કાની ચૂંટણીમાં નક્કી થશે. આમ રાજકોટ પશ્ચિમ, ભાવનગર પશ્ચિમ, પોરબંદર, માંડવી, જામનગર, ગોંડલ અને સૂરતની સીટો પર આ વખતે કોણ જીતે છે તે જોવાનું મહત્વપૂર્ણ બને છે.












Click it and Unblock the Notifications
