Gujarat Election: મોરબી પુલ દૂર્ઘટનામાં લોકોના જીવ બચાવવા ગયેલા કાંતિલાલ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી
ભાજપે મોરબીથી કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે. જેઓ મોરબી પુલ દૂર્ઘટના વખતે નદીમાં કૂદી પડ્યા હતા.
Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 69 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે અને 14 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યુ છે. આ યાદીમાં ભાજપે મોરબીથી કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે. જેઓ મોરબીમાંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ ગત ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ ઉમેદવાર સામે હારી ગયા હતા.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મોરબીમાં બનેલી પુલ દૂર્ઘટના વખતે કાંતિલાલ અમૃતિયા લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. 30 ઓક્ટોબર રવિવારની એ સાંજે જ્યારે મોરબીની મચ્છુ નદી પર ગોઝારી દૂર્ઘટના બની ત્યારે કાંતિલાલ અમૃતિયા ત્યાં હાજર હતા. તેમણે સ્હેજ પણ વિલંબ કર્યા વિના રાહત કાર્ય શરુ કરી દીધુ. ટ્યુબ પહેરીને તેમણે નદીમાં ઝંપલાવ્યુ અને લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો જોઈને લોકોએ કાંતિલાલ અમૃતિયાની ઘણી પ્રશંસા કરી હતી.
મોરબી પુલ દૂર્ઘટના બાદ એવી ચર્ચાએ વેગ પકડ્યુ હતુ કે આ વખતે પાટીદારોનો ગઢ ગણાતી મોરબીની બેઠકમાં સમીકરણો બદલાઈ શકે છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ભાજપના પાંચ વખતના વિજેતા કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. જો કે બ્રિજેશ મેરજા પછીથી ભાજપમાં જોડાયા હતા અને કેબિનેટ મંત્રી બન્યા હતા. યાદી જાહેર થતા પહેલા તેમના નામની ચર્ચા હતી. પરંતુ ભાજપે આફતને અવસરમાં પલટીને લોકોના જીવ બચાવનાર કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી.
તમને જણાવી દઈએ કે ભાજપે આજે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ચૂંટણી માટે 84 ઉમેદવારો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી માટે 76 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. આ યાદીમાં 69 સીટિંગ એમએલએનો સમાવેશ થાય છે. વળી, 14 મહિલાઓ, 13 અનુસૂચિત જાતિ અને 24 અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.