બનાસકાંઠા: પૂર સમયે બેંગ્લોર ગયેલ કોંગ્રેસી ધારાસભ્યનો થયો વિરોધ
ગુજરાતની રાજ્યસભાની ચૂંટણા સમયે બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઇ હતી. તે સમયે રાજકીય રીતે કોંગ્રેસની સભ્યો ભાજપમાં ન જોડાય તે માટે બેંગલોર લઈ જવાયા હતા. બનાસકાંઠાના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પડઘમ વચ્ચે રોજ નેતાઓ અને ધારાસભ્યો અંગેની નવી ખબરો, નવા વિવાદો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી નજીક હતી તે દરમિયાન અતિવૃષ્ટિને કારણે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાયે વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષ છોડી ભાજપ સાથે જોડાયા હતા, આથી રાજકારણીય વાતાવરણ પણ ગરમ હતું. ગુજરાત કોંગ્રેસે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ મુક્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો બેંગ્લોર પહોંચ્યા હતા.
હવે થઇ રહ્યો છે વિરોધ
અહીં પત્રકાર પરિષદ કરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તેમને પક્ષમાંથી રાજીનામું આપવા માટે ભાજપ દ્વારા પૈસાની ઓફર આપવામાં આવી હતી અને જેમણે ઓફર ન સ્વીકારી તેમને ધમકાવવામાં આવ્યા હતા અને આથી સુરક્ષાના કારણોસર તેઓ બેંગ્લોર પહોંચ્યા હતા. હવે સામી ચૂંટણીએ ધારાસભ્યો જ્યારે પોતાના મતવિસ્તારની મુલાકાત લઇ રહ્યાં છે, ત્યારે તેમને આ મામલે વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે.
સત્તાધારી પક્ષે કરી હતી 35 કરોડની ઓફર
બનાસકાંઠામાં કોંગ્રેસ ધારાસભ્ય જાઇતાભાઇ પટેલે ગ્રામસભાનું આયોજન કર્યું હતું, જેમાં ગામવાસીઓએ તેમનો વિરોધ કર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે, પૂર સમયે તેઓ બેંગ્લોર કેમ જતા રહ્યા હતા અને હવે ચૂંટણી ટાણે મત માંગવા આવ્યા છે. આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, પૂર આવ્યું તે સમયે તેઓ ધોલેરા હતા અને તેમણે ફોન કરીને દરેક ગામની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. એ પછી બેંગ્લોર ગયા અને મતદાન કરી ઊંઘતા તંત્રને જાગતું કર્યું. તેમણે સ્વીકાર્યું હતું કે, એ સમયે સત્તાધારી પક્ષ દ્વારા તેમને 35 કોરડની ઓફર થઇ હતી, જે તેમણે સ્વીકારી નહોતી.