રાજ્ય સરકારે 13 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી આપી પરંતું બદલીનો દોર ટાળ્યો
રાજ્યમાં આખરે લાંબા સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી અને બદલીનો ગંજીપો ચીપાવાની સંભાવના હતી તેમાં આંશિક કામગીરી રાજ્ય સરકારે હાથ ધરી છે.
રાજ્યમાં આખરે લાંબા સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી અને બદલીનો ગંજીપો ચીપાવાની સંભાવના હતી તેમાં આંશિક કામગીરી રાજ્ય સરકારે હાથ ધરી છે. ગુજરાત સરકારે આખરે 1993 બેચના ચાર અને 2000 બેચના ત્રણ અધિકારીઓ મળી કુલ સાત આઈપીએસ અધિકારીઓની એડી.ડીજી અને આઈજી પદ પર બઢતી કરી છે. આ ઉપરાંત 2005 બેચના 6 આઈપીએસ અધિકારીઓને સીલેક્શન ગ્રેડ આપવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1993, 2000 અને 2004 બેચના આઈપીએસ અધિકારીઓને જાન્યુઆરી મહિનામાં બઢતી આપવાની હતી, પરંતુ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલને પગલે ગુજરાત સરકાર કોઈ નિર્ણય લઈ શકી ન હતી. જેના કારણે અધિકારીઓને છ મહિના મોડી બઢતી મળી હતી. જેમાં પણ આ અધિકારીઓને બઢતી આપીને તે જ જગ્યા પર ચાલુ રાખવામાં આવ્યા છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી મળી
સનદી સેવામાં 1993ની બેચના સુરતના રેન્જ આઈજી જ્ઞાનેન્દ્ર મલ્લિક, લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો (એસીબી)ના અધિક નિયામક હસમુખ પટેલને સ્પેશ્યલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી) જયેશ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચમાં અને જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફીક નિરજા ગોત્રુ રાવને પણ તે જ જગ્યા પર સ્પેશ્યલ કમિશનર બનાવવામાં આવ્યા છે. આમ, દરેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પોતાના સ્થાન પર બઢતી કરીને યથાવત રાખવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલાં સાગમટે બદલીનો ગંજીપો ચીપાશે
પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના 2004ની બેચના પોલીસ અધિકારીઓને પણ ડીઆઈજીમાં બઢતી આપવાની હતી, પરંતુ 21 એડી.સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તેમજ બીજા એસપી અધિકારીઓની બદલીઓ નજીકના સમયમાં કરવાની હોવાથી 2004 બેચને 15 ઓગસ્ટ પછી બદલી અને બઢતી આપવામાં આવી શકે છે. સરકારે 2005 બેચના ખેડા એસપી મનિન્દરસિંગ પવાર, એટીએસના એસપી હિમાન્શું શુક્લા, સીબીઆઈમાં ડેપ્યુટેશનમાં ગયેલા રાઘવેન્દ્ર વત્સ, દાહોદ એસપી પ્રેમવીર સિંગ, કચ્છ પશ્ચીમના એસ પી એમ એસ ભરાડા અને સુરત લાજપોર જેલના સુપ્રિટેન્ડેન્ટ એચ આર ચૌધરીને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે. આ રીતે જે બદલીની અપેક્ષા સાથે કે ઉચ્ચ પોસ્ટીંગની અપેક્ષામાં હતાં તેમને હજું વધુ સમય રાહ જોવી પડી શકે છે. એટલે કે, લોકસભાની ચૂંટણી પહેલાં સાગમટે થનારી બદલીમાં આ પોલીસ અધિકારીઓનો બદલીનો ગંજીપો ચીપાઇ શકે છે.
ઓગસ્ટ બાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફારની સંભાવના
ઉપરાંત 2000 બેચના પોલીસ કરાઈ અકાદમીના અધિક નિયામક નિપૂના તોરવણેને અધિક નિયામક તરીકે જુનાગઢ તાલીમ શાળાના આચાર્ય એમએ એમએચ અનારવાલાને પણ અધિક નિયામક તરીકે બઢતી અપાઈ છે. જ્યારે સુરત શહેરના અધિક નિયામક સેક્ટર 2 ડી બી વાઘેલાને સંયુક્ત નિયામક તરીકે બઢતી આપીને તે જગ્યા પર જ નિમણૂંક અપાઈ છે. લાંબા સમયથી બઢતીની પ્રતિક્ષામાં રહેલા પોલીસ અધિકારીઓને પોતાના સ્થાને યથાવત રાખીને બઢતી મળી છે. પરંતું, આ પોલીસ અધિકારીઓની બદલીની ફાઇલ પણ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે, તેમની બદલી કોણે અને કેમ રોકી રાખવામાં આવી હશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં સામૂહિક બદલીનો દોર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરી શકે છે.