ગુજરાત સરકારે આફત નુકસાન વળતર રકમ વધારી
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર : ગુજરાત સરકારે આફત પીડિતોની દૈનિક સહાયતામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે પૂર, ભૂકંપ અથવા અન્ય કુદરતી આફતોમાં સંપત્તિ અને પાકને થયેલા નુસકાનના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર આફત પીડિતોને દૈનિક સહાયના રૂપમાં વયસ્ત વ્યક્તિઓને દૈનિક રૂપિયા 40 અને અવયસ્કોને દૈનિક રૂપિયા 30ના સ્તરે રોકડ સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વધારો મંજૂર કરાયો તે પહેલા અનુસાર દૈનિક સહાયતા તરીકે વયસ્કોને રૂપિયા 30 અને અવયસ્કોને રૂપિયા 20 આપવામાં આવતી હતી. આ ઉપરાંત સંપૂર્ણ નષ્ટ થઇ ગયેલા રહેઠાણના નુકસાનના વળતરના રૂપમાં 35000 રૂપિયાની જુની સહાયતામાં વધારો કરીને હવે તેને રૂપિયા 70000 કરવામાં આવી છે.
ખેતીના પાકની બાબતમાં 50 ટકા નુકસાન પર બિન સિંચાઇ વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂપિયા 3000 સહાય આપવામાં આવતી હતી તેને વધારીને રૂપિયા 4000 કરવામાં આવી છે. જ્યારે સિંચાઇ વાળા વિસ્તારોમાં સહાયની રકમ પ્રતિ હેક્ટર રૂપિયા 6000થી વધારીને 9 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બારમાસી પાકોના નુકસાનના વળતરની રકમ રૂપિયા 8000થી વધારીને રૂપિયા 12000 કરવામાં આવી છે.
આ અંગે ગુજરાતના નાણા મંત્રી અને રાજ્યના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે આફાત પીડિતોને આપવામાં આવતી દૈનિક સહાય રકમ અને પાકના નુકસાનનું વળતર વધારનો નિર્ણય તાત્કાલિત અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. તેનો લાભ જૂન 2013થી શરૂ થયેલા ચોમાસામાં અસરગ્રસ્તોને મળશે.