સ્વરોજગારી થકી બેરોજગારી દુર કરતી રાજ્ય સરકારની માનવ ગરીમા યોજના
સ્વરોજગારી થકી બેરોજગારી દુર કરતી રાજ્ય સરકારની માનવ ગરીમા યોજના
રાજ્યમાં ગરીબોના સર્વાંગી આર્થિક ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓ થકી દેશમાં ગરીબી અને બેકારીને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાઇ છે. જેમાંની એક યોજના એટલે માનવ ગરીમા યોજના. સામાજિક-આર્થિક પછાત વર્ગના કલ્યાણ અને સ્વરોજગારી થકી સ્વાવલંબી બનાવવા તેમજ તેમને નાના ધંધા રોજગારમાં કુશળ બનાવી સ્વ રોજગારી ઉપલબ્ધ કરી શકે તેવી માનવ ગરીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી છે. આ યોજના થકી અનેક બેરોજગાર પરિવારોને આર્થિક અને સંસાધનિક મદદ પ્રાપ્ત થઇ છે, તો અનેક અકુશળ પરિવારોને નાના મોટા ધંધા વ્યવસાય ઉભા કરવામાં સાધન સામગ્રી આપવામાં આવી છે.
માનવ ગરીમા યોજનાની શરૂઆત 1996માં કરવામાં આવી હતી. ત્યારબાદ 2022માં આ યોજનાના વ્યાપને વધારી પુનઃ શરૂ કરવામાં આવી છે. જે યોજના થકી અનેક આર્થિક મુશ્કેલીના કારણે ધંધો વ્યવસાય ન કરી શકતાં પરિવારો અને લોકોને મોટી રાહત મળી છે અને સ્વ રોજગારી મેળવી શક્યા છે.
રાજ્યમાં ગરીબ પરિવારોને આર્થિક સ્વાવલંબી બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જનકલ્યાણકારી યોજનાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ માનવ ગરીમા યોજના દ્વારા ચાલુ વર્ષે 19 હજાર કરતાં વધુ લોકોને 76 કરોડની સાધન સહાય આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં, તાજેતરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન અનેક લાભાર્થીઓને આ યોજના હેઠળ સાધન સહાય આપવામાં આવી છે.
બનાસકાંઠાના સાગર પરમારે જણાવ્યુ હતુ કે, અમો કડીયા કામ કરીને અમારુ ગુજરાન ચલાવીએ છીએ, માનવ ગરીમા યોજના દ્વારા અમોને કડીયા કામના સાધનસામગ્રીની તમામ કીટ તદ્દન મફત આપવામાં આવતાં અમારે વગર મૂડીએ ધંધો કરવો સરળ બની ગયો છે.
માનવ ગરીમા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આર્થિક પછાત વર્ગ અને અનુ જાતિના લોકોને ધંધાકીય મદદ કરવા 4 હજાર રૂપિયાની કિંમતના સાધન સહાય સામગ્રી આપવામાં આવે છે. જેમાં, 28 જેટલા વિવિધ ધંધા વ્યવસાયનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકારની ઇ-સમાજકલ્યાણ વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
ગરીબ અને પછાત વર્ગના લોકોને નાના ધંધા રોજગાર માટે મૂડી ન હોવાની સ્થિતિમાં ધંધો વ્યવસાય ન કરી શકતાં હોય ત્યારે, આ યોજના ઘણી કારગર સાબિત થાય છે. કડીયાકામ, મોચીકામ, સેન્ટિંગકામ, સુથારીકામ, લુહારીકામ સહિતના 28 જેટલા નાના ધંધા વ્યવસાય શરૂ કરવા આ યોજના દ્વારા સાધન સહાય આપવામાં આવે છે. જેના કારણે અનેક નાના અને ગૃહઉદ્યોગ થકી રોજગારી ઉભી કરી સ્વનિર્ભર થઇ શકાય છે.
ગાંધીનગર જિલ્લાના વિષ્નું ચૌહાણે આ રીતે ધંધા રોજગારમાં નિર્ભરતા કેળવવા ઇલેક્ટ્રીક એમ્પ્લાયન્સનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માનવ ગરીમા હેઠળ સાધન પ્રાપ્ત થતાં તદ્દન મૂડી વગર ધંધો શરૂ કર્યો, આજે આ ધંધા થકી પરિવારનું સરળતાથી ભરણપોષણ કરી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1.10 લાખ જેટલા લાભાર્થીઓને આ યોજના દ્વારા સાધન સહાયનું વિતરણ કરી અનેક લોકોને ધંધાકીય નિર્ભરતા કેળવી સ્વરોજગારી થકી બેરોજગારી દુર કરવા અને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કર્યા છે, જેમાં માનવ ગરીમા યોજના અનેક સ્વ રોજગારની દિશામાં આવશ્યક યોજના સાબિત થઇ છે.