વિજય રૂપાણી સરકાર ગુજરાતમાં હવે પર્જન્ય યજ્ઞ કરીને વરસાદ વરસાવશે
ગુજરાતમાં હવે પર્જન્ય યજ્ઞ કરીને વરસાદ વરસાવવામાં આવશે. આ આદેશ કોઇ સંગઠન કે સમાજનો નહિ પરંતું, ખુદ રાજ્ય સરકારનો નિર્ણય છે.
ગુજરાતમાં હવે પર્જન્ય યજ્ઞ કરીને વરસાદ વરસાવવામાં આવશે. આ આદેશ કોઇ સંગઠન કે સમાજનો નહિ પરંતું, ખુદ રાજ્ય સરકારનો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. ત્યારે, ચોમાસામાં પુષ્કળ વરસાદ થાય તે માટે યજ્ઞ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે. રાજ્ય સરકારે ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે. જળ સંચય યોજનાના સમાપન દરમિયાન રાજ્યભરમાં આ યજ્ઞો કરવામાં આવશે.
રાજ્યમાં પીવાના પાણીની તંગી
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે. ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોચાડવામાં આવી રહ્યુ છે. આંતરે દિવસે પાણી આપવામાં આવી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતથી જ પાણી માટે પાણીમાં બેસી ગયેલી ભાજપ સરકાર હવે જળસંચય બાદ વરસાદી પાણી માટે પણ પ્રજાને રામભરોસે રાખવા માંગે છે. જેમાં સરકાર દ્વારા રાજ્યના કુલ ૪૧ સ્થળોએ પર્જન્ય યજ્ઞ કરવામાં આવશે. એટલે કે, નક્કર આયોજનના બદલે ધાર્મિક તાયફા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
વરસાદ ન પડે તો પાણીની મુશ્કેલી સર્જાય
રાજ્યમાં અત્યારે ૨૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં નર્મદા ડેમમાં ૩૨ ટકા તેમજ અન્ય ડેમોમાં ૨૭ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે, જો વરસાદ ન થાય તો, ગુજરાતમાં પાણીની સૌથી મોટી ક્રાઇસિસ સર્જાઇ શકે છે. જોકે, ગુજરાતમાં વરસાદ પુષ્કળ થાય છે. પરંતું, જળ સંચય કરવામાં બેપરવાહીના કારણે વરસાદી પાણીનો વ્યય થઇ જાય છે. ત્યારે, હવે આ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની દિશામાં સરકારે જળ સંચય અભિયાન રાજ્યભરમાં ચલાવ્યું છે. ત્યારે, હવે 31 મે દરમિયાન રાજ્યભરમાં યજ્ઞ કરવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે.
31 મેના રોજ દરેક જિલ્લામાં થશે યજ્ઞ
રાજ્યમાં પાણીની વિકટ સમસ્યાના કારણે ૩૧૧ સ્થળોએ ટેન્કર્સ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના રોષનો ભોગ બનવું પડે નહીં તે માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરતના સ્થાપના દિવસથી શરૂ કરાયેલી આ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય યોજનાનું ૩૧ મેના રોજ સમાપન થવાનું છે. ત્યારે આ અભિયાનના છેલ્લા દિવસે વિવિધ જિલ્લાઓમાં કરાયેલા એક તળાવ ખાતે પર્જન્ય યજ્ઞ કરી તેમાં માં નર્મદાનું જળ પધરાવવામાં આવશે. આ પર્જન્ય યજ્ઞ પ્રસંગે સમારોહ યોજી તેની જવાબદારી પ્રભારી પ્રધાનો અને સચિવોને સોંપવામાં આવી છે. આ પર્જન્ય યજ્ઞમાં જે તે સ્થળે મુખ્યમંત્રી સહીત મંત્રીઓ પણ હાજર રહેશે.
વરસાદ વરસાવવા કરાશે પર્જન્ય યજ્ઞ
પર્જન્ય યજ્ઞ વરસાદ આવે નહીં અથવા વરસાદમાં અતિશય વિલંબ થયો હોય ત્યારે સારો વરસાદ આવે તેવી માન્યતાથી કરવામાં આવે છે. આ પર્જન્ય યજ્ઞ કરવાથી વરૂણ દેવતા રીઝતા હોવાની માન્યતા છે. આ યજ્ઞની પૂજામાં ૧૦૮ લોકો બેસી તેમાં નાગરમોથ, કમલમુલ, પીપળો, કાળા તલ, ગાયનું છાણ, ગાયનું ઘી, કપુર સહિત જુદી-જુદી સામગ્રી વાપરતા હોય છે. જો આગામી એક મહિનામાં મેઘરાજા વરસે નહીં અને જો ઉનાળાની ગરમી કાળઝાળ બની રહેશે તો સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગી ઊભી થાય તેવી શક્યતાઓ છે.
રાજ્ય સરકારના ધાર્મિક તાયફા
રાજ્ય સરકારે પ્રિ મોન્સૂન પ્લાન કરવાના હોય કે તેના અસરકારક અમલીકરણ માટે કામગીરી કરવાની હોય. પરંતું, આ ગુજરાત મોડલની સરકાર આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પર્જન્ય યજ્ઞ થકી અંધશ્રદ્ધાને જોર આપી યજ્ઞ દ્વારા વરસાદ કરાવવાના ધાર્મિક તાયફા સર્જી રહી છે. પાણીની તંગી સર્જાવા પાછળ પાણીની ચોરી તેમજ ગૃહ ઉદ્યોગોને બેફામ પાણી આપવામાં આવે છે. આ જળ સંચય અભિયાનમાં ભાજપના મળતીયાઓને થતાં કરોડોના કટકી કૌભાંડ પરથી ધ્યાન હટાવવા રાજ્ય સરકારે આ ધાર્મિક તાયફા શરૂ કર્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.