''આજે ગુજરાત વિધાનસભામાં લોકાયુક્ત બિલ રજૂ કરાશે''
ગાંધીનગર, 2 એપ્રિલ: ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત વિધાનસભામાં એક એવું બિલ પાસ કરવા જઇ રહી છે. જેના હેઠળ લોકાયુક્તની નિયુક્તિમાં રાજ્યપાલની ભૂમિક રહેશે નહી.
ગુજરાત સરકાર લોકાયુક્ત આયોગ વિધેયક 2013ને આજે સદનમાં પાસ કરાવવાનો પ્રયત્ન કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિપક્ષનું કહેવું છે કે તે કોઇપણ હાલતમાં આ વિધેયકને પાસ થવા નહી દે.
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત વિધાનસભામાં આ વિધેયકને પાસ કરાવવાના પ્રયત્નમાં છે, જો આ બિલ પાસ થઇ જશે તો લોકાયુક્તની નિયુક્તિમાં રાજ્યપાલની ભૂમિકા નષ્ટ થઇ જશે. ગુજરાત સરકાર વિધાનસભામાં આજે આ વિધેયક પાસ કરવવા તમામ પ્રયત્નો કરશે, પરંતુ કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ સ્પષ્ટપણે કહી દિધું છે કે તે ભાજપ સરકારના આ વિધેયકને પાસ થવા નહી દે. લોકાયુક્ત પર નરેન્દ્ર મોદીની સરકારના નવા વિધેયક અંગે કહેવામાં આવે છે કે આ વિધેયક પાસ થવાથી લોકાયુક્તની નિયુક્તિની પ્રક્રિયામાં આમૂલ ફેરફાર થઇ જશે.
નવા વિધેયકમાં રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓ ખતમ થઇ જશે. નવા વિધેયક મુજબ લોકાયુક્તની નિયુક્તિ એક ખાસ પસંદગી સમિતિની ભલામણોના આધારે થશે. આ સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી અધ્યક્ષની ભૂમિકામાં હશે, તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા અથવા અધ્યક્ષ દ્રારા નિમવામાં આવેલા કોઇ વિપક્ષી ધારાસભ્ય, એક હાઇકોર્ટના જજ અને વિજિલેન્સ કમિશ્નર સભ્ય હશે. અત્યાર સુધી લોકાયુક્તની પસંદગીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિપક્ષના નેતા અને હાઇકોર્ટના મુખ્ય જજની ભૂમિકા રહેતી હતી.
જ્યારે નવા વિધેયકને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં 2003 થી માંડીને 2011 સુધી લોકાયુક્તનું પદ ખાલી પડ્યું છે. આઠ વર્ષ બાદ રાજ્યપાલ કમલા બેનીવાલે રિટાયર્ડ જસ્ટિસ આર એ મહેતાને ગુજરાત લોકાયુક્ત બનાવ્યા હતા.
આ મુદ્દે નરેન્દ્ર મોદીએ હાઇકોર્ટથી માંડીને સુપ્રિમ કોર્ટ સુધી રાજ્યપાલના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે લોકાયુક્તની નિયુક્તિમાં તેમનો મત લેવામાં આવ્યો ન હતો.
જાન્યુઆરી 2013માં સુપ્રિમ કોર્ટે જસ્ટિસ આર એ મહેતાની નિયુક્તિ અને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો, જો કે રાજકિય વિવાદોના કારણે જસ્ટિસ મહેતાએ હજુ સુધી ગુજરાતના લોકાયુક્તનું કામકાજ સંભાળ્યું નથી.