ગુજરાત હાઇકોર્ટનો 102 BPL ખેડૂત કુટુંબોને વીજ પુરવઠો આપવા આદેશ
અમદાવાદ, 30 જુલાઇ : ગુજરાત હાઇ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે મોરબી જિલ્લામાં રહેતા ઓછામાં ઓછા 102 બીપીએલ (ગરીબી રેખા નીચે જીવતા) ખેડૂત પરિવારોને વીજળી કનેક્શન આપવામાં આવે જેથી તેઓ ખેતી કરી શકે.
મંગળવારે મોરબી મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઇએલ PIL)ના જવાબમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે ખેતી લાયક જગ્યાઓ માટે સરકાર સિંગલ ફેઝ વીજળી જોડાણ આપે. આ કારણે ડાર્ક ઝોનમાં આવતા ગરીબ ખેડૂતોને રાહત મળશે. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં રહેતા પણ વીજળીથી વંચિતોને પણ વીજળી જોડાણ પૂરા પાડવા જણાવવામાં આવ્યું હતું.
મોરબીની માળિયા મીયાણાં મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ ઇકબાલ યુ ઝેડા દ્વારા ગયા સપ્તાહે કરવામાં આવેલી પીઆઇએલનો નિકાલ કરતા ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચે આ આદેશ સંભળાવ્યો હતો.
પીઆઈએલમાં ઝેડાએ જણાવ્યું હતું કે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) રાજીવ ગાંધી ગ્રામીણ ગ્રામીણ વિદ્યુતિકરણ યોજના હેઠળ બીપીએલ કુટુંબોને જોડાણ આપવાના શરૂ કર્યા હતા. અંદાજે 250 કુટુંબોને જોડાણ આપ્યા બાદ જોડાણ આપવાનું બંધ કર્યું હતું. જેમાં 102 પરિવારો જોડાણથી વંચિત રહી ગયા હતા.