રથયાત્રાની તૈયારીઃ રાજ્યમાં સઘન પોલીસ વ્યવસ્થા સાથે નિકળશે શોભાયાત્રા
રાજ્યમાં 14 જુલાઇના રોજ રથયાત્રા નિકળનાર છે ત્યારે, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નિકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે.
રાજ્યમાં 14 જુલાઇના રોજ રથયાત્રા નિકળનાર છે ત્યારે, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નિકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે. રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે.
રાજ્યકક્ષાએ થશે રથયાત્રાનું મોનિટરીંગ
રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વિશેષ કાળજી લઇને પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરાશે.
સંવેદનશીલ વિસ્તારોમાં કરાયો ચુસ્ત બંધોબસ્ત
આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૧૭, અન્ય દેવી-દેવતાઓની ૪૭ મળી કુલ ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રા રાજ્યમાં નીકળશે. જેમાં ૧૫ જિલ્લામાં મોટી જનમેદનીવાળી ૧૮ સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોપાઇ જવાબદારી
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં કુલ ૧૧ જેટલી રથયાત્રા નીકળનાર છે તે અંગે ૧ આઇ.જી/ડી.આઇ.જી., ૧ એસ.પી., ૧૫ ડીવાય.એસ.પી., ૩૬ પી.આઇ., ૧૧૦ પી.એસ.આઇ. કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઇ છે. એજ રીતે આણંદ જિલ્લામાં ૧૫ રથયાત્રા સંદર્ભે ૧ આઇ.જી/ડી.આઇ.જી., ૧ એસ.પી., ૬ ડીવાય.એસ.પી., ૧૯ પી.આઇ., ૬૬ પી.એસ.આઇ. તથા વડોદરા શહેરમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે ૧૦ પી.આઇ. અને ૨૦ પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૭ જેટલી એસ.આર.પી.એફ.ની કંપનીઓ સ્ટેન્ડબાય રહેશે જે આકસ્મિક સંજોગોમાં રાજ્યના પોલીસ વડા દ્વારા ફાળવવામાં આવશે.
ભાવિકો ભયમુક્ત થઇ રથયાત્રામાં જોડાશે
રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને પુર્ણ શાંતિમય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે તૈયારી હાથ ધરી છે. અત્યારથી જ પોલીસ કુમક તૈનાત કરી દેવામાં આવી છે. શહેરમાં પોલીસ સુરક્ષા અને સુરક્ષા દળોને ખડકી દેવામાં આવ્યા છે ત્યારે, અમદાવાદ શહેરમાં નિકળનારી આ ભવ્ય શોભાયાત્રામાં ભાવિકો ભયમુક્ત થઇ આનંદ લઇ શકે તેવી તમામ તૈયારી દર્શનાર્થીઓ અને ભાવિકો માટે કરવામાં આવી છે.