ગુજરાત : નવરાત્રિની પૂર્વ સંઘ્યાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા ઇમામ મેંહદી હસનની ધરપકડ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમીને માતા આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ વિશે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરનારા ગુજરાતના ખેડા જિલ્લાના મુસ્લિમ ધર્મગુરુ ઇમામ મેહદી હસનની આજે મધ્ય ગુજરાતના રૂસ્તમપુરા ગામમાંથી કલમ 295(C) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
હસનની ટિપ્પણી અંગે વિશ્વ હિન્દુ પરિષદે જોરદાર વિરોધ નોંધાવ્યા બાદ અને નવરાત્રિ શરૂ થતા પહેલા તેમની ધરપકડ કરવાની ઉગ્ર માગણી કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
શિવસેનાના એક સ્થાનિક નેતાએ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં હસન વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે હસને ઈરાદાપૂર્વક હિન્દુત્વને બદનામ કર્યું છે.
મૌલાના હસને અમુક દિવસો પહેલા એક ગુજરાતી અખબારને આપેલી મુલાકાતમાં એમ કહ્યું હતું કે નવરાત્રિ રાક્ષસોનો તહેવાર છે. નવરાત્રિ હિન્દુઓનો નહીં, પણ દારૂડિયાઓ અને બળાત્કારીઓનો તહેવાર છે.
વિશ્વ હિન્દુ પરિષદે ચેતવણી આપી હતી કે હસનની જો ધરપકડ કરવામાં નહીં આવે તો તે રાજ્યભરમાં આંદોલન શરૂ કરશે.