ગુજરાત તેના સર્વાંગી વિકાસ બળથી વૈશ્વિક હેલ્થકેર હબ બનવા સક્ષમ- સૌરભ પટેલ
ગાંધીનગર, 3 જાન્યુઆરી: રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત તેના સર્વાંગી વિકાસ બળથી વૈશ્વિક હેલ્થકેર હબ બનવા સક્ષમ છે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશભરમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે રાજ્યમાં હેલ્થકેર માટે શ્રેષ્ઠ વૈશ્વિક તક રહેલી છે તેમ પણ મંત્રી પટેલે જણાવ્યું હતું. સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરશે અને તેનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તેમ જણાવી નાણામંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નોલેજ પાર્ટનર તરીકે કેપીએમજી અને નેશનલ પાર્ટનર તરીકે સીઆઇઆઇના સહયોગથી ‘હેલ્થ ફોર ઓલઃ લિવરેજીંગ ટેકનોલોજી, ઇનોવેશન્સ એન્ડ ઇનેબ્લર્સ' વિષય ઉપર બિઝનેસ સેમીનારનું આ સમીટ દરમિયાન આયોજન કરાશે જેમાં દેશ વિદેશના તજજ્ઞો ઉપસ્થિત રહેશે.
ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે, જે માહિતિના આદાન-પ્રદાન, વ્યુહાત્મક ભાગીદારીઓ અને રોકાણ માટે એક આદર્શ પ્લેટફોર્મ પુરૂ પાડે છે તેની વિગતો આપતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ સમિટ દ્વારા ઉદ્યોગપતિઓ, રોકાણકારો, કોર્પોરેટ નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિશ્વભરના અગ્રણી પ્રતિનિધિઓ એક મંચ ઉપર એકત્ર થઇને વિવિધ વિષયો ઉપર વિચારોનું આદાન-પ્રદાન કરે છે. વર્ષ-૨૦૦૩થી અત્યાર સુધીમાં ૬ સમિટનું સફળતાપૂર્વક આયોજન થયું છે, જેનાથી ગુજરાત વૈશ્વિક કારોબારના કેન્દ્ર તરીકે ઉભર્યું છે.
હાલના સમયમાં ચેપી રોગો તેમજ જટિલ રોગોને કારણે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો સામે મોટા પડકારો સર્જાયા છે કારણ કે મર્યાદિત સ્રોતોને કારણે તેમની ઉપરનું ભારણ વધી રહ્યું છે. ભારતના સ્વાસ્થ્યક્ષેત્ર સામે રોગ સંબંધિત વિવિધ પડકારોનું સર્જન થયું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યના દરેક નાગરિકના ઘર આંગણે પ્રાથમિક, દ્રિતિય અને તૃતિય સ્તરની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા વિશાળ મજબૂત આરોગ્ય અને તબીબી સેવાઓનું નેટવર્ક તૈયાર કર્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની તંદુરસ્તીથી વિકાસને બળ મળે છે અને તંદુરસ્ત નાગરિકો પ્રદેશની પ્રગતિમાં વધુ સારી રીતે હિસ્સેદાર બની શકે છે.
રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત અને અસરકારક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબધ્ધ છે જે માટે ‘હેલ્થ ફોર ઓલ' ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો કે, આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે અને તે માટે નવીન ટેકનોલોજી અને સંશોધનની તાતી જરૂરિયાત છે જેથી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વ્યાપક સુધારો લાવી શકાય. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ ટેકનોલોજીમાં હજી પણ વધુ સુધારા અને આધુનિકીકરણની તકો છે. તેમજ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે નવીન સંશોધનો પણ જરૂરી છે. ગુજરાત તેના સર્વાંગી વિકાસ અને મજબૂત માળખાકીય સુવિધાઓના બળે વૈશ્વિક હેલ્થકેર હબ બની શકે તેમ છે.
નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે વિકાસની ઉજ્જવળ તકોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૫ દરમિયાન ૧૨મી જાન્યુઆરીના રોજ હેલ્થ ફોર ઓલઃ લિવર્જિંગ ટેકનોલોજી, ઇનોવેશન્સ એન્ડ ઇનેબ્લર્સ વિષય ઉપર બિઝનેસ સેમીનારનું આયોજન કરશે. આ સેમિનારમાં દેશભરના 100૦થી વધુ સ્વાસ્થ્યસેવા ક્ષેત્રના પ્રોફેશનલ્સ ભાગ લેશે. આનો હેતુ સ્વાસ્થ્ય ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ (યુનીસેફ) જ્હોન હોપકીન્સ યુનિવર્સિટી (બ્લૂમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ) અને ઈન્ડિયન ઈન્સ્ટિસ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુર (આઈઆઈટી-ખડગપુર) વગેરે સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ડબલ્યુએચઓના ભારત ખાતેના પ્રતિનિધિ ડો. નાટા મિનાડે, યુનિસેફના કન્ટ્રી હેડ શ્રી લુઇસ જ્યોર્જ આર્સેનોટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર એલિન લાબ્રિક, આઇઆઇટી ખડગપુરના એમએસટીના વડા પ્રોફેસર પ્રણવ દત્તા અને ઝાયડસ કેડિલાના શ્રી પંકજ આર. પટેલ સહિતના અગ્રણીઓ વિચાર વિમર્શ કરશે.