ગુજરાત : ચોમાસુ સત્રનો આરંભ, શોક ઠરાવ, ધાંધલ બાદ ગૃહ મોકુફ
આજે સવારે 11 વાગે ગૃહ મળ્યું ત્યારે બાદ તેમાં સુરતના વર્તમાન ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું અવસાન થતા તેમનો શોક ઠરાવ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં બેકાબૂ બની ગઈ અતિશય ઘોંઘાટ કરનાર વિપક્ષ કોંગ્રેસના તમામ સભ્યોને બે દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમને ઉંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ નિર્ણય સામેના વિરોધમાં કોંગ્રેસે સત્રના બાકીના ભાગનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આજે સત્રનો આરંભ થયો ત્યારે વિધાનસભામાં શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસે રાજ્યમાં ભારે વરસાદને લીધે આવેલા પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પ્રશ્નોત્તરીનો કલાક સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના ચીફ વ્હીપ બળવંતસિંહ રાજપૂતે આ માગણી રજૂ કરી હતી. સ્પીકર વજુભાઈ વાળાએ એમ કહીને તે માગણી નકારી કાઢી હતી કે પ્રશ્નોત્તરીનો કલાક સસ્પેન્ડ કરવાની તેમને સત્તા નથી. આ સાંભળીને કોંગ્રેસના સભ્યોએ સરકાર અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કર્યું હતું અને પ્લેકાર્ડ તથા બેનર પણ બતાવ્યા હતા.
ત્યારબાદ તેઓ સ્પીકરની બેઠક સુધી ધસી ગયા તા અને મોદી વિરુદ્ધ નારા લગાવતા હતા. મોદી તે સમયે ગૃહમાં હાજર હતા. ધાંધલ દરમિયાન રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલે શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના વિધાનસભ્યોના નામ દઈને તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્પીકરે ત્યારબાદ તમામ કોંગ્રેસીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
ગૃહમાં વિધિવત પ્રશ્નોત્તરી આવતીકાલથી શરૂ થશે. કોંગ્રેસે કાલે યુવા રેલી દ્વારા વિધાનસભાને ઘેરવાનુ જાહેર કર્યુ છે. રાજય સરકાર અગાઉ રાજયપાલે પરત કરેલ શિક્ષણ સુધારા વિધેયક અને લોકાયુકતની વરણીનું વિધેયક યથાવત અથવા થોડા સુધારા સાથે પરત કરવાના મિજાજમાં હોવાનું જાણવા મળે છે.
વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના પ્રવકતા ધારાસભ્યશ્રી શૈલેષ પરમારના જણાવ્યા મુજબ તાજેતરના વરસાદથી લોકોને પારાવાર પરેશાની અને નુકસાની થઇ છે. તેમને પુર વળતર આપવાની અમારી માંગી છે. સરકાર લોકાયુકતની નિમણૂંક કરતી નથી. વિપક્ષને મળવા પાત્ર ગૃહનું ઉપાધ્યક્ષ પદ 12 વર્ષથી ખાલી છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. યુવાનો રોજગારી માટે ટળવળે છે. રાજય સરકારના કારણે પાક વીમો અટકયો છે. આ બધા પ્રશ્નો કોંગ્રેસ ગૃહની અંદર બહાર જોરશોરથી ઉઠાવશે.
યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના સંયુકત ઉપક્રમે રોજગારીનો અધિકાર માંગવા આવતીકાલે બપોરે 12 વાગ્યે પથિકા આશ્રમથી વિશાળ રેલી યોજી વિધાનસભાને ઘેરાવ કરવા જવાનું જાહેર કરાયુ છે. રેલીને આગળ વધતા પોલીસે અટકાવે તો સંઘર્ષ થવાના એંધાણ છે. બુધવારે ગાંધી જયંતિની રજા છે. ગુરૂવારે ગૃહનો અંતિમ દિવસ છે.