નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાતના યુવાનોને ટેબ્લેટ ભેટ આપશે
અમદાવાદ, 13 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભારતમાં સૌથી આગળ છે એ વાત કોઇનાથી છુપી નથી. ટેકનોલોજીનું મહત્વ જાણતા નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવવાના છે ત્યારે તેઓ યુવાનોને ટેબલેટ ભેટમાં આપીને ખુશ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ડિઝિટલ ઈન્ડીયાનો આરંભ પોતાના જન્મદિવસથી એટલે કે 17મી સપ્ટેમ્બરથી કરાવશે. ગુજરાત સરકારે એક મહિના પહેલા વર્ષ 2014-15ના બજેટમાં જાહેર કરેલી કેટલિક યોજનાઓનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ચીનના પ્રમુખ ક્ઝી જિનપિંગના આગમન પહેલા બુધાવારે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને ટેબ્લેટ આપીને પ્રોત્સાહિત કરશે.
ગુજરાત સરકારે આઈટીઆઈમાં છ મહિનાથી વધુ સમયના કમ્પ્યુટર ટ્રેડના કોર્સ પાસ કરનાર આઈટીઆઈના તાલિમાર્થીઓને રૂપિયા 9 કરોડના ખર્ચે માર્ચ 2015 સુધીમાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. ગત જુલાઈ મહિનામાં રજૂ કરેલા બજેટની જાહેરાતનો અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. અનુસુચિત જાતિ, અનૂસૂચિત આદિજાતી અને વિકસતી જાતિના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહમાં 70 ટકાથી વધુ ગુણ મેળવ્યા હશે તેમને પણ સરકાર દ્વારા ટેબ્લેટ આપવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આઈટીઆઈ પાસ યુવાનોને સ્વરોજગાર શરૂ કરવા માટે લોન આપવાની પંડિત દિનદયાળ યુવા સાહસિકતા યોજના, એમ્પલોયમેન્ટ એક્સચેન્જ એક્સટેન્શન બ્યુરો ઇમ્પેક્સ-બી, સ્માર્ટ ઈ-ગ્રામ, ઈ-નગર, નગર આયોજન અને મુલ્યાકંન ખાત એટલે કે ટાઉનપ્લાનિંગ વિભાગની વેબસાઈટ, ઈ- કોર્ટ મિશન જેવી અનેકવિધ યોજનાઓનો આરંભ કરાવશે. બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતી, પશુપાલન, શિક્ષણ સહિતના વિભાગોની સહાયોના લાભાર્થીઓને પણ તેઓ સહાય વિતરણ કરીને પ્રોત્સાહન આપશે.