ગુજરાતમાં બોર્ડ અને નિગમોના નવા ચેરમેનની નિમણૂંક
ગાંધીનગર, 30 ઓક્ટોબર : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેવી ગુજરાત રાજ્યના વિવિધ બોર્ડ અને નિગમોમાં તેના અધ્યક્ષોની નિયુક્તિની ઘોષણા ગુજરાત સરકારે કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓક્રાટોબર, 2013 મંગળવારના રોજ રાજ્યમાં અનેક સરકાર હસ્તકની બોર્ડ તથા નિગમોમાં અધ્યક્ષોની નિમણૂંક આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
આ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતના જુદા જુદા બોર્ડ તથા નિગમોમાં 11 ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરહરિ અમીનને રાજ્યમાં આયોજન પંચના નાયબ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ હોદ્દાને રાજ્ય પ્રધાનપદને સમાન ગણવામાં આવે છે.
મોદીના અન્ય વિશ્વાસુ અને રાજ્ય સભાના ભૂતપૂર્વ સદસ્ય વિજય રૂપાણીને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ પ્રધાન મુળૂભાઈ બેરાને ગુજરાત રુરલ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિવેકભાઈ પટેલને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન, મેઘજીભાઈ કણઝારિયાને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ વિભાગ)ના ચેરમેન બનાવાયા છે.
આ ઉપરાંત ગણેશ ચૌધરીને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત મેનલેન્ડ)ના ચેરમેન, અરણજભાઈ રબારીને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન, બાબુભાઈ જેબલીયાને ગુજરાત એગ્રો કોર્પોરેશન લિમિટેડના ચેરમેન, ભૂપેન્દ્ર લાખાવાલાને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનના ચેરમેન, જયંતીભાઈ બારોટને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને પ્રદિપ વાળાને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના વાઈસ-ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.