ગુજરાત : પ્રથમ તબક્કાના પ્રચાર માટે માત્ર 4 કલાક બાકી રહ્યા
બીજી તરફ પ્રચારના છેલ્લા 4 કલાકમાં મતદારોને આકર્ષવા માટે ગુજરાતના તમામ મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, જીપીપી અને અન્ય રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ પોતાની રીતે પ્રચારમાં કોઇ કમી બાકી નથી.
પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે 13 ડિસેમ્બર, 2012ના રોજ થનારા મતદાન માટે ભાજપના દિગ્ગજ પ્રચારકોએ સભાઓ ગજવી છે તો બીજી તરફ કોંગ્રેસના યુવરાજે પણ જામનગરમાં સભા સંબોધી છે. કોંગ્રેસનો અન્ય એક સ્ટાર પ્રચારક અને પૂર્વ ક્રિકેટર મહોમ્મદ અઝહરૂદીન આવી રહયો છે. એ બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન જામનગર શહેરમાં રોડ શો દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરશે
ભાજપનાં રાષ્ટ્રીય નેતા તેમજ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણી આજે (મંગળવારે) ગુજરાતમાં વિધાનસભાનાં ઉમેદવારોનાં ચૂંટણી પ્રચારાર્થે સાણંદ, રાણીપ અને નરોડા એમ કુલ ત્રણ સભાઓને સંબોધન કરશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કુલ 9 જાહેર સભાઓને સંબોધશે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતેથી નરેન્દ્ર મોદી પોતાનાં પ્રચારનો પ્રારંભ કરશે જ્યારે ઘીકાંટા, અમદાવાદમાં અંતિમ સભાને સંબોધશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની કામગીરી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર ધ્વારા તમામ કાર્યવાહીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી સમયે પ્રચાર-પ્રસાર ઉપર નિયંત્રણની વિગતો આપતા મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું કે "વિધાનસભા મતદાન પૂરું થવા માટે નક્કી કરાયેલા સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટી.વી. કે તેના જેવા ઉપકરણો ઉપરથી ચૂંટણી સંબધી વિગતો પ્રસાર કરી શકાશે નહિ. એવા કાર્યક્રમો કે, જેમા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કે તેમની ઉપલબ્ધિઓ વર્ણવતી બાબતોનો સમાવેશ થતો હોય એવા કાર્યક્રમો મતદાન પૂર્ણ થવાના નિયત સમય પૂર્વેના 48 કલાક પહેલા પ્રસારિત કરી શકાશે નહીં. આના ભંગ બદલ દંડ કે બે વર્ષ સુધીની જેલની સજા અથવા બન્ને થઈ શકશે."
કરવાલે વધુમાં જણાવ્યું હતું કે "મતદાર વિસ્તારમાં મતદાનના સમયે કે મતદાનના પૂરું થવાના સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર સંબધી કોઈ કવરેજ કરી શકાશે નહીં. જોકે જ્યાં બીજા તબક્કામાં જે મતદાર વિસ્તાર આવતો હોય ત્યાંના ચૂંટણી પ્રચાર સંબંધી સમાચાર પ્રસારીત કરવા ઉપર પ્રતિબંધ નથી. ઉમેદવારોના ઈન્ટરવ્યુ અથવા તેમની વિગતોનો પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં. પરંતુ કોઈ પણ રીતે ચૂંટણી પ્રચાર ન હોય અથવા ઉમેદવારને સંબધી તરફેણ કે વિરૂધ્ધની વિગતો સિવાયની કોઇ ચર્ચા/ ગ્રૃપ ચર્ચા હોય તો તે પ્રસારીત કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રાજકીય પક્ષો, ઉમેદવાર સંબધી કોઈ પ્રકારની રાજકીય વિજ્ઞાપનો કોઈપણ મતદાન વિસ્તારમા મતદાન પૂર્ણ થવાના 48 કલાકના સમય પહેલાના સમયગાળા દરમિયાન પ્રસાર-પચાર કરી શકાશે નહિ."
મુખ્ય ચુંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું છે કે લોકપ્રતિનિધિત્ત્વ કાયદો, 1951ની કલમ-126(અ)ની પેટા કલમ-1 અને 2 અન્વયેની જોગવાઈ અનુસાર ભારતનાં ચૂંટણી પંચે મતદાન પૂર્ણ થવાના નિયત સમય પહેલા કોઈપણ પ્રકારનાં 'એક્ઝીટ પોલ' હાથ ધરવા કે તેના પરિણામો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં રજૂ કરવા સામે ભારતના ચૂંટણી પંચે પ્રતિબંધિત ફરમાવ્યો છે. એટલે કે, 17-12-2012ના રોજ સાંજે 5.30 કલાક પહેલા કોઈપણ પ્રકારનાં એક્ઝીટ પોલ હાથ ધરવા કે તેના પરિણામો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક અથવા બીજી કોઈપણ રીતે પ્રસારિત કરી શકાશે નહીં.